શ્રીજીમહારાજના સ્વરૂપનું જેમ છે તેમ જ્ઞાન સમજાવવા અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તન માટે શ્રીજી સંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનું પ્રાગટય થયું. બાપાશ્રીએ અવરભાવમાં મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપી અનંત જીવોને મહાપ્રભુની સર્વોપરિ નિષ્ઠા અને અનાદિમુક્તની સ્થિતિનું સર્વોપરિ જ્ઞાન સમજાવી છતે દેહે સુખ ભોક્ત કર્યા હતા. વળી બાપાશ્રીનું અવરભાવનું જીવન અનંત મુમુક્ષુઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.
બાપાશ્રીના પરમ કૃપાપાત્ર અને સમર્થ સદ્ગુરૂશ્રી ઇશ્વરચરણદાસજી સ્વામી બાપાશ્રીએ સમજાવેલા સિધ્ધાંતોનો પ્રચાર કરવાની જહેમત ઉઠાવી હતી. સદ્ગુરૂશ્રી દેશો-દેશ અને ગામો ગામ વિચરણ કરી અનેક મુમુક્ષુઓને બાપાશ્રીએ સમજાવેલું જ્ઞાન સમજાવી સુખિયા કરતા. સદ્ગુરૂશ્રીના દિવ્ય યોગમાં અમદાવાદના શેઠશ્રી હીરજીભાઇ ચાવડા આવ્યા. જેમ જેમ તેઓ સદ્ગુરૂશ્રીની કૃપામાં આવતા ગયા તેમ તેમ તેમને શ્રીજીમહારાજની નિષ્ઠા અને જ્ઞાનની સ્પષ્ટતા થતી ગઇ. તેમના અંતરમાં એક ઇચ્છા નિરંતર રહેતી કે જે ઉત્તમ સિધ્ધાંતવાળું જ્ઞાન શ્રી હરિએ પ્રવર્તાવ્યું છે, તે જીવનમાં યથાર્થ ઉતારીને આ સ્વામીશ્રી બીજાઓને તેનો લાભ આપે છે, તેમજ સત્સંગની સુધારણા માટે જેણે અડગ અખાડો માંડયો છે, તેમાં અનેક કષ્ટો તથા માન-અપમાનને ન ગણકારતાં પોતાના ધ્યેય પ્રત્યે સતત પ્રયત્નશીલ રહ્યા છે એવા સદ્ગુરૂશ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીનું જો જીવનચરિત્ર લખાય તો તે અતિ જનહિતમાં પરિણમે.
પોતાની આ ઇચ્છાને તેઓ સદ્ગુરૂશ્રી આગળ ઘણીવાર રજૂઆત કરતા કે આપ જો રજા આપો તો આપનું જીવનચરિત્ર બહાર પાડવાની ઇચ્છા છે. ત્યારે સદ્ગુરૂશ્રી એમને દર વખતે એક જ વાત કરતાં કે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનું જીવનચરિત્ર જો લખાય તો વધુ સારું એ લખવાની જરૂરીયાત ખૂબ છે. સદ્ગુરૂશ્રીના આ સંકલ્પ અનુસાર સદ્ગુરૂશ્રીના અતિ કૃપાપાત્ર એવા સોમચંદબાપાને સદ્ગુરૂશ્રીએ અણમોલ સેવાનો લાભ આપ્યો. સોમચંદબાપા તથા અન્ય સંતો-હરિભક્તોએ ખૂબ જહેમત ઉઠાવી ગામો-ગામ ફરી અને જૂના હરિભક્તોનો સંપર્ક કરી બધો સંગ્રહ કર્યો અને એ સંગ્રહનું સુવ્યવસ્થિત લખાણ તૈયાર કરી “અબજીબાપાશ્રીનું જીવનચરિત્ર”
આ દિવ્યગ્રંથ તૈયાર કરી છપાવવામાં આવ્યો. આ ગ્રંથમાં બાપાશ્રીના અવરભાવના જીવનનું સંપૂર્ણ અને સરળ ભાષામાં આલેખન કરેલું છે. વળી સાથે સાથે બાપાશ્રીએ સત્સંગમાં કરેલા મહત્ત્વના કાર્યો પણ વર્ણવેલા છે.
એ જ રીતે બાપાશ્રીના અતિકૃપા પાત્ર અને સમર્થ સદ્ગુરૂશ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (મુનિસ્વામી) નિરંતર બાપાશ્રીની સેવામાં રહેતા. બાપાશ્રીનું અવરભાવનું જીવન કેવું દિવ્ય હતું તથા બાપાશ્રીએ અવરભાવમાં કયા સ્થળે, ક્યાં કેવી લીલા કરી હતી ? તથા બાપાશ્રી કેવી મૂર્તિના સુખની લ્હાણી કરતા તથા કેવા સુખ આપતા વગેરે બધી જ બાબતોને બાપાશ્રીની સાથે રહી નિહાળી હતી તેનું આબેહુબ વર્ણન કરી, સુવ્યવસ્થિત લેખન કાર્ય કરી “અબજીબાપાશ્રીનું જીવનવૃતાંત” ગ્રંથ તૈયાર કર્યો હતો. આ ગ્રંથને સ્વયં બાપાશ્રીએ પ્રસાદીનો કર્યો હતો તથા આ ગ્રંથ ઉપર ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા. |