આવી વિવિધ સંસ્કારપ્રવૃત્તિ ઉપરાંત SMVS સંસ્થામાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. ગરીબ આદિવાસી જનસમુદાય ધરાવતા પંચહાલ જિલ્લાનાં અનેકાનેક ગામનાં વેરણછેરણ ઝૂંપડાઓમાં વ્યસનો, અક્ષરજ્ઞાનનો અભાવ, ક્લેશ ને અંધશ્રધ્ધા તથા વહેમના માળા બંધાયેલાં હતા. ત્યાં જઈને પૂ.સંતોના અથાગ પ્રયત્નોથી શુધ્ધ વાણી અને વર્તનથી આદિવાસી જનોમાં આમૂલ પરિવર્તન થયું છે. આ અદિવાસીઓના ઉત્થાન માટે પૂ.સંતોનું સતત વિચરણ ચાલુ ને ચાલુ જ રહ્યું છે.
વિશ્વભરની લગભગ બધા જ દેશોની વસ્તીમાં, કરોડો બાળકો, કિશોરો, યુવકો, પુખ્તવયનાં સ્ત્રી-પુરુષો, વ્યસનોની નાગચૂડમાં પાયમાલ થઈ રહ્યાં છે. વ્યસનોના આ માયાવી રાક્ષસ જુદાં જુદાં રૂપ ધારી લોકોનું ભક્ષણ કરે છે. હેરોઈન, કોકેઈન, અફીણ, ગાંજો, દારૂ, તમાકુ, ગુટકા, બીડી, સિગારેટનો ભોગ બનાવી તેની આર્થિક, શારીરિક, માનસિક બરબાદી કરે છે. અને આ વ્યસનો દ્વારા પોતાના પરિવારને વેદનાની આગમાં સળગાવી રહ્યા છે. ત્યારે SMVS એ વ્યસનમુક્તિ અભિયાન ચાલુ કરીને અનેકને બરબાદીથી અટકાવ્યા છે.
આ યુવાધન દ્વારા હોસ્પિટલોમાં સેવા-સ્વચ્છતા અભિયાન યોજીને સ્વછતા કરી. દર્દીઓની શારીરિક સુખાકારી માટે સેવામાં બાળકો, કિશોરો, યુવકો અને મહિલાવર્ગ જોડાઈ ગયાં છે.
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ને સવારે ૦૮.૪૫ વાગ્યાની એ વસમી પળ કે જેને છેલ્લાં દોઢસો વર્ષોમાં, ગુજરાતે કયારેય ન અનુભવ્યાં હોય એવા વિનાશક ધરતીકંપે ગુજરાતના જનજીવનને વેરવિખેર કરી નાંખ્યું. હજારોનાં પ્રાણપંખેરું ક્ષણમાં ઊડી ગયાં... હજારો લોકો પળમાં બેઘર બની ગયા. હજારો લોકો ઘડીમાં હાથ-પગ વિનાના થઈ ગયા. કરોડો લોકો ભયથી ફફડતા, પારેવડાની જેમ કાંપતા થઈ ગયા.
આ ભૂકંપની વિનાશક પળોમાં પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી સંતોની સાથે કચ્છમાં પહોંચી ગયા. અને સંતો-હરિભક્તોને માર્ગદર્શન આપી સૌ નિરાધારોની સંભાળ લીધી અને લેવડાવી. આવી જ રીતે અતિવૃષ્ટિના કારણે વિકટ પરિસ્થિતિમાં ફસાયેલ જનોની સેવામાં SMVSનો કાર્યકર ગણ, સેવા માટે તત્પર હોય છે. દુષ્કાળની દુષ્કર પરિસ્થિતિમાં પશુઓની ઘાસચારાની સેવા કરીને નિર્દોષ જીવોને દુષ્કાળમાં પ્રેમ અને હૂંફ આપવામાં આવ્યાં છે.
|