માનસીપૂજા

ભગવાનના ભક્તને પણ અભરખાઓ હોય ખરા ? પણ એટલું ખરું કે જગતના જીવોના જેવા નહીં.

ભક્તને તો પોતાના પ્રાણેશ્વર ઇષ્ટ પ્રભુને ભાવે કરીને જગાડવાના, સ્નાનાદિક વિધિ કરાવવાના, પ્રેમે કરીને તાણ કરી કરીને જમાડવાના, નિત્ય નવા શણગારો વડે સજાવવા, ધજાવવા અને પ્રીતે કરીને પોઢાડવાના એમ નિત્ય નવા ભાતભાતના ઉછરંગ હૈયે હિલોળા દેતા હોય. ભક્ત તો ભગવાનની સેવા કર્યાની ને લાડ લડાવવાની તક કે મોકો શોધતો જ હોય.

ભક્તને પ્રભુની સેવા કરવાનો અવસર બે પ્રકારે પ્રાપ્ય છે : (૧) દૈહિક, (૨) માનસિક.

બાહ્યિક પૂજા-સામગ્રી-ઉપચાર દ્વારા મહાપ્રભુની દિવ્ય મૂર્તિની દૈહિક પૂજા કરવામાં આવે છે. જ્યારે બાહ્ય સામગ્રીના અવલંબન સિવાય મનોકલ્પિત માનસોપચાર દ્વારા પોતાને જે મૂર્તિમાં અતિશે પ્રીતિ હોય તે સ્વરૂપની માનસીપૂજા કરવામાં આવે છે.

આપણે શ્રીજીમહારાજની માનસિક સેવા એટલે કે માનસીપૂજા કેમ કરાય તે વિગતે જોઈએ.

શ્રીજીમહારાજે પોતાના આશ્રિતજનને દિવસમાં પાંચ વખત માનસીપૂજા કરવાની કહી છે. જે ભગવાનના ભક્ત હોય તે નિત્યે ભગવાનની માનસીપૂજા કરે. તે માનસીપૂજાની વિક્તિ એમ છે જે શિયાળો, ઉનાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિષે નોખી નોખી માનસીપૂજા કરવી. (ગ.છે. ૨૩) તથા એવા જે ભગવાન તેની હેતે કરીને માનસીપૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી. (ગ.મ.૧૯)

શ્રીજીમહારાજની પ્રત્યક્ષ પૂજા અધિક કે માનસીપૂજા અધિક એના અનુસંધાનમાં શ્રીજીમહારાજ કહે છે, "જે ભગવાનને વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદ્ગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જે ભગવાનની માનસીપૂજા કરે છે તો એ બંને શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદ્ગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે ને માનસીપૂજા કરે છે તોય ન્યૂન છે." (સા.૩)

મોટા સંતો કહેતા, "દિવસમાં પાંચ વખત મરતાં શીખવું." પાંચ વખત મરવું એટલે શું ? તો દેહભાવથી પૃથક્ થઈ રોમાંચિત ગાત્રે ભગવાનની પાંચ વખત માનસીપૂજા કરવી. એ પાંચ વખત મર્યા કહેવાય. દેહભાવથી અળગા થયા કહેવાય.

બાપાશ્રી માનસીપૂજા કેમ કરવી તે બાબતે કહેતા - એક વાર પર્વતભાઈ સાંતી હાકતાં હાકતાં માનસીપૂજા કરતા હતા, તે વખતે હાથમાંથી તાંસળું પડી ગયું તેવી કરવી, પણ દોડાદોડ ન કરવી. શ્રીજીમહારાજના સ્વરૂપમાંથી કોઈક કાઢે ત્યારે નીકળાય એવી કરવી, પણ માનસીપૂજા કરતા હોય ને કોઈક પૂછે જે કપચાની ટોપલી ક્યાં છે ? ત્યારે સાને કરીને બતાવે એમ ન કરવું. જેટલી ઘડી માનસીપૂજા કે પૂજા કરવી ત્યાં સુધી મૂર્તિ વિના બીજું સંભારવું નહીં. (ભાગ-૧ , વાર્તા-૨૦૬)

માનસીપૂજા એ પ્રેમલક્ષણાભક્તિનું એક શ્રેષ્ઠાંગ છે. મને કરીને કરેલી સેવા એને કહેવાય છે માનસીપૂજા. અતિ ચંચળ એવા મનને ભગવાનના સ્વરૂપને વિષે પરોવવું. તેના માટે માનસીપૂજા શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે.

પ્રત્યક્ષ ઠાકોરજીની સેવા કરવી હોય તો ભારે ભારે વસ્ત્રો, અલંકારો, આભૂષણો, પુષ્પહારો, ભારે ભારે થાળની વિવિધ વાનગીઓ આ બધું કરવા કેટકેટલી મહેનત અને કેટલો બધો ખર્ચ થાય ! જે કદાચ બધાય ભક્તને ન પણ પોસાય. જ્યારે માનસીપૂજાનું કૌતુક તો એવું છે કે કોઈ પણ પ્રકારનો ભક્ત; ચાહે તે ગરીબ હોય કે ગર્ભશ્રીમંત બધાય સરખી જ સેવા કરી શકે છે. ભક્તને ન કશી મહેનત કે ન કશો ખર્ચ, ન કોઈ ધાંધલ-ધમાલ કે કોઈ વધારાનો સમય. છતાંય શ્રેષ્ઠતમ અને ઉચ્ચતમ પદાર્થો વડે કોઈ પણ ભકત પ્રેમવિભોર થઈ, ગદ્ગદ કંઠે માત્ર માનસિક ઉપચારો વડે, પોતાના પ્રાણેશ્વરની અલભ્ય સેવા સહેજે કરી શકે છે.

આ જ તો વળી ભગવાનની ભક્તની ઉપર અતિશે કરુણા કહેવાય. ભગવાન હંમેશાં પોતાના ભક્તની સેવા સ્વીકારવાને તત્પર હોય, વિના દાખડે ને વિના ખર્ચે કરેલી સેવા પ્રભુ પ્રેમથી સ્વીકારી, પ્રભુ પોતાનો દિવ્ય રાજીપો ભક્ત ઉપર વરસાવે એ કાંઈ ઓછી મહેર કહેવાય ? છતાંય ભક્ત એમ કહે કે મારાથી માનસીપૂજા નથી થાતી, અડધી થાય છે ને અડધી રહી જાય છે, ક્યારેક થાય ને ક્યારેક ભૂલી જવાય છે ત્યારે એવા ભક્ત માટે કેવું વિશેષણ વાપરવું ઘટે ? ભક્તથી ભગવાનની માનસીપૂજા ન થાય એ તો કેવું વળી ? તો એ ભક્ત શાનો ?

આપણા બાપાશ્રી જેવા સમર્થ મૂર્તિ પણ અવરભાવમાં જોઈએ તો માનસીપૂજા અવશ્ય કરતા. બાપાશ્રીની વાતોના અનેક પાને આવે છે કે બાપાશ્રી કાકરવાડીએ પધાર્યા ને પછી જાંબુડાંના ઝાડ નીચે બેસીને માનસીપૂજા કરી. પ.પૂ. સ્વામીશ્રી તો ત્યાં સુધી કહે છે કે, "માનસીપૂજા નિયમિત અને સમયસર થઈ જવી જોઈએ. ગાડી ચલાવતાં હોઈએ ને માનસીપૂજાનો સમય થયો તો ગાડીને બ્રેક મારી ગાડી ખડી કરી, માનસીપૂજા કરી જ લેવી જોઈએ."

બાપાશ્રી કહેતા, “મહારાજની માનસીપૂજા દિવસમાં પાંચ વાર કરવી, તે અડધો કલાક કે એક કલાક કરવી. માનસીપૂજા કરી રહીએ ને બે કલાક થાય પછી વળી માનસીપૂજા કરવી એમ ને એમ માનસીપૂજા કરે તો નવરું થવાય નહીં.” (ભાગ-૧ વાર્તા-૧૭૮)

આપણા એક હરિભક્ત જે શિક્ષક છે તેઓ એક વાર પ.પૂ. સ્વામીશ્રીને મળ્યા એટલે સહેજે પ.પૂ. સ્વામીશ્રીએ સારા સત્સંગી જાણીને પૂછયું, “આપ માનસીપૂજા નિયમિત કરો છો ?”

શિક્ષક : “હા, દયાળુ ! કરું છું.”

પ.પૂ. સ્‍વામીશ્રી : “પાંચેય માનસીપૂજા કરો છો ?”

શિક્ષક : “હા, દયાળુ ! પાંચેય માનસીપૂજા મહારાજની દયાથી થાય છે.”

પ.પૂ. સ્વામીશ્રી : “નિયમિત અને ટાઇમસર થાય છે ?”

શિક્ષક : “હા દયાળુ, સમયસર જ થઈ જાય છે.”

પ.પૂ. સ્વામીશ્રી : “તમે જ્યારે નોકરી પર હો ત્યારે કેમનું થાય છે ? સમય સચવાય છે ? કેવી રીતે બધું એડજસ્ટ કરો છો ?”

શિક્ષક : “દયાળુ, મારે સ્કૂલમાં માનસીપૂજા માટે કોઈ વધારાનો સમય ફાળવવાની જરૂર પડતી નથી. મારા ક્લાસમાં પિરિયડ ચાલુ હોય અને જો માનસીપૂજાનો સમય થયો હોય તો હું ચાલુ પિરિયડે ભણાવતાં ભણાવતાં માનસીપૂજા કરી લઉં છું. ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપાથી એવી પ્રતિલોમપણાની લટક આવડી ગઈ છે કે મારે તો કોઈ પણ ક્રિયા કરતાં કરતાં પણ પરભાવની માનસીપૂજા કરી લેવાય છે.” શિક્ષકનો જવાબ સાંભળી પ.પૂ. સ્વામીશ્રી તો ખૂબ રાજી રાજી થઈ ગયા. પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, "હા, એવી જો પ્રતિલોમપણાની લટક આવડતી હોય તો જરૂર કોઈ પણ ક્રિયામાં થઈ શકે..! પણ લટક હોય તો.. નહિ તો નહીં...!"

જીવનપ્રાણ બાપાશ્રી પણ કહે છે કે, ચિત્ર-વિચિત્ર, આ લોકનાં પદાર્થોના કાલ્પનિક માનસોપચાર દ્વારા પૂજા કરવા કરતાં ચૈતન્યને વિષે દિવ્ય મૂર્તિને દિવ્ય ભોજન, દિવ્ય વસ્ત્રાભૂષણ દ્વારા માનસીપૂજા કરવી. આવી પરભાવની માનસીપૂજા કરવાથી મૂર્તિમાં રસબસભાવે જોડાઈ શકાય છે.

માનસીપૂજામાં પોતાની તમામ ભાવોર્મિને ઠાલવી દેવી. ભગવાનની સેવા કરવામાં કોઈ કસર ન રાખવી. "યથા દેહા તથા દેવા." એમ પોતાને મનગમતા પદાર્થો અને વસ્તુઓ વડે અતિશે પ્રેમે કરી પૂજા કરવાથી ભગવાનને વિષે મન સહેજે સ્થિર થાય છે.

એક સત્સંગી વાણિયો નાનકડી એવી હાટડીનો માલિક. હાટડીના થડા ઉપર બેઠા બેઠા પણ જો માનસીપૂજાનો સમય થાય તો માનસીપૂજા કરી લે એવો પાકો સત્સંગી. પણ વાણિયાભાઈની પ્રકૃતિ થોડી લોભી ખરી. એક દિવસ હાટડીના થડે જ સવારના પહોરે માનસીપૂજા શરૂ કરી.” માનસીપૂજામાં ઠાકોરજી માટે દૂધ ધરાવવાનું હોવાથી દૂધ તપેલીમાં લઈ તપેલી ગેસ ઉપર ગરમ કરવા મૂકી. સગડી ચાલુ હતી. દૂધ ગરમ થાતું હતું. દૂધને ગળ્યું કરવા દૂધમાં એક મુઠ્ઠી મોરસ (ખાંડ) નાખી, ત્યાં દુકાને ગ્રાહક આવ્યું. ગ્રાહકે બૂમ મારી, "શેઠ...!" શેઠે જાણ્યું કે ગ્રાહક આવ્યું છે તેથી માનસીપૂજા પડતી મૂકી ગ્રાહકને પતાવ્યું. ફરી આંખો બંધ કરી અધૂરી માનસીપૂજા શરૂ કરી. તેણે વિચાર્યું કે ક્યાં સુધી આવ્યો હતો ? કદાચ મોરસ (ખાંડ) નાખવાની બાકી હતી એમ સમજી ફરી એક મુઠ્ઠી મોરસ નાખી દીધી. ત્યાં એને ઝબકારો થયો, "એલ્યા, એક મુઠ્ઠી મોરસ તો પહેલાં જ નાખી દીધી હતી. આ તો બીજી વાર ભૂલથી નખાઈ ગઈ." પ્રકૃતિ લોભી હતી એટલે પ્રકૃતિ કામ કરી ગઈ. એણે વિચાર્યું કે જો ડબલ ખાંડવાળું દૂધ ઠાકોરજી પી જશે તો પછી ઠાકોરજીને આવું ગળ્યું દૂધ પીવાની આદત પડી જશે. ઠાકોરજી રોજ હળી જશે, પછી તો રોજ આવું જ ગળ્યું દૂધ માગશે. આ તો મારે રોજનો ખર્ચો. કેમ પોસાય ? એણે જોયું અને તપેલીમાં મોરસ હજુ ઓગળી નહોતી એટલે કાઢવા સારુ ગરમ દૂધમાં હાથ નાખ્યો. પણ વાણિયાનો હાથ મહારાજે પકડી લીધો. અને બોલ્યા, "હં... હં... વાણિયા શું કરે છે ?" "અરે મહારાજ જલદી મારો હાથ મૂકો. મોરસ વધુ પડી ગઈ છે તે કાઢવી છે." વાણિયો બોલ્યો. મહારાજે કહ્યું, "વાણિયા, મોરસ પડી જ ગઈ છે તો હવે ભલે રહી." ત્યારે વાણિયે કહ્યું, "ના... ના... મહારાજ, તમને આટલી બધી ખાંડવાળું દૂધ અપાય ? અમારેય જોવું પડે ને કાંઈક તમને ડાયાબિટીસ, બાયાબિટીસ...?" મહારાજ વાણિયાની હોશિયારી સાંભળી હસ્યા ને કહ્યું, "વાણિયા, રોજ આવું ગળ્યું દૂધ નહિ માગું. મને ટેવ નહિ પડે. પણ આ તો ગરમ દૂધમાં, તારો હાથ દાઝે નહિ એટલે હાથ ઝાલ્યો છે. મને દૂધની નહિ, તારા હાથની ચિંતા છે." વાણિયો છોભીલો પડી ગયો. એમ ગમે તે રીતે પણ આ વાણિયાની માનસીપૂજા મહારાજે પ્રત્યક્ષ પૂજામાં ફેરવી નાખી.

ભગવાન પ્રત્યે અતિશે પ્રેમ અને રોમાંચિત ગાત્રે થયેલ માનસીપૂજા પ્રભુ જરૂર અંગીકાર કરે છે.

સોરઠનું નાનું ને છેવાડાનું ગામ અગત્રાઈ. ગામમાં કણબી ખેડૂતોની મોટા ભાગે વસ્તી. એમાં કણબી હરિભક્ત પર્વતભાઈ રહે. જેઓ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય સત્સંગી. દેખાવે ને પહેરવેશે કણબી ખેડૂત જણાય, પણ માહીંલી કોરે ખૂબ જ સમૃદ્ધ...! ભર્યા ભર્યા... શ્રીજીમહારાજની મૂર્તિમાં રમણ કરનારા મહાઅનાદિમુકત. જાડું બોલનારા, જાડું જમનારા ને જાડું પહેરનારા પર્વતભાઈની ઉપલક દૃષ્ટિએ સ્થિતિની ખબર ન પડે પણ એમની પાછળ પાછળ તો અનંત અવતારોનું લશ્કર આત્યંતિક મોક્ષને માટે આંટા મારતા હોય એવા સમર્થ. પોતે ખેડૂત એટલે ખેતરમાં કામકાજ કરતા હોય.

એક દિવસ ખેતરમાં સાંતી જોડ્યું હતું. સાંતીએ બળદ જોડ્યા હતા. બળદની રાશ હાથમાં પકડી સાંતી ઉપર ઊભા હતા ને ખેતરમાં સાંતી ચાલી રહ્યું હતું. માનસીપૂજાનો સમય થયો એટલે પર્વતભાઈએ બળદની રાશ નીચે મૂકી સાંતી હાંકતાં હાંકતાં જ માનસીપૂજા કરવા આંખો બંધ કરી દીધી. માનસીપૂજામાં મહારાજને જમાડવા એક હાથમાં થાળ ને બીજા હાથમાં દહીંની તાંસળી પકડી હોય એમ હાથ ફેલાવીને ઊભા રહ્યા. બળદ બળદનું, સાંતી સાંતીનું અને પર્વતભાઈ પોતાનું કામ કરી રહ્યા હતા. પર્વતભાઈ પ્રભુની પ્રેમથી માનસીપૂજામાં નિમગ્ન થયા ને ખેતરમાં સાંતીડું એમ ને એમ હાલતું રહ્યું. ખેતરમાં કામ કરનાર સાથીએ આ દૃશ્ય જોયું. ઘડીભર એને એમ જ લાગ્યું કે પર્વતભાઈ સાંતી હાંકતાં હાંકતાં ઊંઘતા લાગે છે. કાં તો ઝોકે ચઢ્યા લાગે છે. એટલે એણે પર્વતભાઈને જગાડવા ધીમેથી હાક મારી... એક વખત, બે વખત, ત્રણ વખત. પણ પર્વતભાઈ માનસીપૂજામાં ઠાકોરજીને જમાડવામાં વ્યસ્ત હતા. એમણે માનસીપૂજામાં તાવડીએથી તાજો ઉતારેલો ને તપીને લાલ ત્રાંબા જેવો ને ગાડાંના પૈડા જેવો સરસ ગોળ રોટલો, સાથે થીજી ગયેલું તેમજ કાપો તો ચોસલાં પડે એવું મજાનું દહીં તાંસળીમાં પીરસ્યું હતું. અને મહારાજને તાણ કરી કરીને ખૂબ જમાડી રહ્યા હતા. સાથીએ જોયું કે પર્વતભાઈ સાદ પાડે નહિ હહળે ! એટલે પર્વતભાઈ બે હાથમાં થાળ પકડયો હોય એમ ઊભા હતા એ હાથની કોણીએ લાકડીનો ઠોહો માર્યો. લાકડીનો ઠોહો મારતા તો માર્યો પણ પર્વતભાઈના હાથમાંથી બાજરાનો રોટલો અને દહીં માંડ્યું ઢોળાવા. સાંતી ઉપર ને જમીન ઉપર રોટલો ને દહીં દહીં થઈ ગયું.

આ જોઈ સાથી આભો બની ગયો. પળ વાર તો હેબતાઈ ગયો. તેણે પર્વતભાઈને પૂછ્યું કે, "આ બધું શું થઈ ગયું ?" ત્યારે પર્વતભાઈએ કહ્યું કે, “હું માનસીપૂજા કરતો હતો અને એમાં મહારાજને બાજરાનો રોટલો ને દહીં જમાડતો હતો ત્યારે તેં આ લાકડીનું ઠેબું માર્યું એટલે મહારાજે આજે મારી માનસીપૂજાને પ્રત્યક્ષ પૂજામાં ફેરવી નાખી. અને એટલે આ રોટલો ને દહીં તે ઠાકોરજીના થાળનું ઢોળાયું છે." આને કહેવાય માનસીપૂજા.

માનસીપૂજામાં વેઠ ન ઉતારવી. જે શ્રીજીમહારાજની પ્રત્યક્ષ સેવા મૂળજી બ્રહ્મચારી, લાડુબા-જીવુબા, ગંગામાને મળતી હતી એ જ મહાપ્રભુની અદ્ભુત સેવાનો લ્હાવો આપણને માનસીપૂજા દ્વારા મળે છે. માનસીપૂજામાં કેટલી એકાગ્રતા તેમજ મહારાજનું કેટલું બધું પ્રગટપણું હોવું ઘટે એ માટેનો એક સુંદર પ્રસંગ છે.

સુંથ પાસે રામપુરમાં સુખરામ નામે બ્રાહ્મણ હરિભક્ત હતા. તે અમદાવાદ સોનાનો દાગીનો વેચવા આવ્યા હતા. પણ ભાવ પૂરા ન મળ્યા એટલે દાગીનો પાછો લઈને ચાલતા પાછા જતા હતા. રસ્તામાં ઝાડી આવી. ત્યાં માર્ગમાં માનસીપૂજાનો સમય થયો એટલે માનસીપૂજા કરવા બેઠા. ત્યારે ઝાડીમાંથી ચોર આવ્યો ને ભગતનો સોનાનો દાગીનો લૂંગડાંમાંથી છોડવા લાગ્યો. પણ ભગતે વિચાર્યું કે, માનસીપૂજામાં હું શ્રીજીમહારાજને જમાડી રહ્યો છું તે તેમને જમાડવા પડતા મૂકી ચોરને કેમ પકડવો ? કે કેમ બૂમ પાડવી ? એટલે માનસીપૂજાનો ભંગ થવા ન દીધો. ચોર તો દાગીનો લઈને જતો રહ્યો ને ત્યારબાદ ભગત માનસીપૂજામાંથી ઊભા થયા અને સંકલ્પ કર્યો કે, "મૂઆ ! હું મહારાજને જમાડતો હતો ને તું દાગીનો છોડી ગયો તો તને ઢીંચણમાં પથ્થર વાગો ને ભાઠા પડો ને તું મરી જા." આ બાજુ પેલા ચોરને દોડતાં દોડતાં વચમાં વોકળો આવ્યો. તેમાં પડી ગયો ને ખૂબ વાગ્યું. તે આગળ એક ધર્મશાળામાં પડ્યો હતો. ત્યાં ભગત લોટ માગવા ગયા ત્યારે એને ઓળખી કાઢ્યો. પછી તે બીન્યો ને દાગીનો ભગતને પાછો આપી દીધો. તે લઈને ભગત ગયા ને ચોર મરી ગયો. એમ એને મહારાજની માનસીપૂજા પણ થઈ અને દાગીનો પણ પાછો આવ્યો. માટે એવી માનસીપૂજા કરવી.

બાપાશ્રી કહેતા, "કોઈકને ટોપલો, કોદાળી કે પાવડો દેખાડવો હોય એટલામાં પણ સાન કરે કે હાથ હલાવે પણ માનસીપૂજા પૂરી કરે નહિ ને સાધુ કે સત્સંગી કહેવાતા હોય. માટે બહુ વિચાર કરવો ને મૂર્તિમાં સદાય રહેવું."

માટે શ્રીજીમહારાજના સત્સંગીએ દિવસ દરમ્યાન પાંચ માનસીપૂજા કરવાની હોય છે. તે માનસીપૂજા કયા સમયે અને કેવી રીતે કરવી તે જોઈએ.

(૧) પ્રથમ : પ્રાતઃ સમયે-નિત્યપૂજામાં (સવારે ૫થી ૭)

(૨) દ્વિતીય : જમાડવાની માનસીપૂજા (બપોરે ૧૦:૩૦થી ૧૨)

(૩) તૃતીય : ઉત્થાન માનસીપૂજા (બપોરે ૩:૩૦થી ૪:૩૦)

(૪) ચતુર્થ : સંધ્યા સમયે જમાડવાની (સાંજે ૬:૩૦થી ૮)

(૫) પંચમ : શયન કે પોઢાડવાની માનસીપૂજા (રાત્રે ૯થી ૧૦)

માનસીપૂજા કરવાની રીત

(૧) પ્રથમ માનસીપૂજા : (સવારે ૫થી ૭)

ઠાકોરજીને જગાડવાની માનસીપૂજા આપણી નિત્યપૂજામાં પૂજા શરૂ કર્યા પહેલાં કરવાની હોય છે. અક્ષરઓરડી મધ્યે મહાપ્રભુ પોઢ્યા છે. અક્ષરઓરડીનાં બંધ દ્વાર હળવેકથી ખળભળાટ ન થાય તેમ ઉઘાડ્યાં છે. સુંદર ફૂલોથી સજાવેલી સેજમાં પલંગ ઉપર કર્ણપ્રિય નસકોરાં બોલાવતાં થકા આડા પડખે મહાપ્રભુ પોઢ્યા છે. પ્રભુને જગાડવા સારુ દંડવત-દર્શન કરતાં કરતાં ધીરે ધીરે મંજુલ સ્વરે પ્રભાતિયું.... "પ્રાતઃ થયું મનમોહન પ્યારા પ્રીતમ રહ્યા શું પોઢીને" ગાયું છે. તે સુણી મહારાજે પોતાનાં નેત્રો જેમ કમળની પાંખડીઓ ઊઘડે તેમ ઉઘાડ્યા છે. સંતો-ભક્તોનું વૃંદ દેખી મહાપ્રભુ રાજી થકા મોહક સ્મિત વેરી, આળસ મરડતાં થકા પથારીમાં બેઠા થયા છે. પ્રભુના ચરણસ્પર્શ કરી બાથમાં ઘાલીને મળ્યા છે. પ્રભુને પ્રાર્થના કરી છે, આપ શૌચવિધિ કરવા સારુ પધારો દયાળુ ! ઝીણી શ્વેત ધોતી અને શ્વેત સદરો ધારણ કર્યો છે. પ્રભુ શૌચવિધિ અર્થે સંડાસમાં પધાર્યા છે. શૌચવિધિ કર્યા પછી હસ્ત ધોવા સારુ ઝીણી સ્વચ્છ મૃત્તિકા (માટી) આપી છે. જે વડે સત્તર વખત હસ્ત પ્રક્ષાલન કરાવ્યા છે. ચરણ પણ જળ વડે પ્રક્ષાલન કર્યા છે. રૂમાલ વડે હસ્ત-ચરણ કોરા કર્યા છે.

દંતધાવન : પ્રભુને દાતણ કરવા માટે બાવળનું તાજું ચૌદ આંગળનું લાંબું આગળથી કૂચો કરેલું અને રાત્રે તજ-લવિંગના સુવાસિત જળમાં બોળી રાખેલું એવું દાતણ આપ્યું છે. રસિયોજી રાય દાતણ કરવાને આંગણે બેઠા છે. હૂંફાળા જળ વડે કરીને કોગળા કર્યા છે.

સ્નાન : ત્યારપછી સ્નાન કરવા મહાપ્રભુને પ્રાર્થના કરી છે. પ્રભુ પધાર્યા છે. હૂંફાળા સુગંધિત જળ વડે કરીને મહારાજના અંગે અંગ ચોળી ચોળીને ખૂબ સ્નાન કરાવ્યું છે. સાથે સાથે પ્રાર્થના પણ કરી છે. "દયાળુ ! આપ અમને દેખાવ છો અમારા જેવા, ક્રિયા કરો છો અમારા જેવી ! પણ નાથ ! આપ તો દિવ્યાતિદિવ્ય મૂર્તિ છો. આપને વિષે કાંઈ દેહ-દેહીભાવ નથી." એમ પ્રાર્થના કરતા થકા ખૂબ સ્નાન કરાવ્યું છે. પ્રભુના દિવ્ય કાંતિયુક્ત શોભતા શરીર પર, ઝીણાં ઝીણાં પાણીના બુંદ બાઝેલાં છે. સુંદર મુલાયમ ટુવાલ વડે મહારાજને ક્યાંય વધારે ભીંસાઈ ન જાય એમ અંગે અંગ કોરાં કર્યાં છે. પહેરવા શ્વેત ધોતલી આપી છે. તેને ધારણ કરી, શ્વેત ઉપરણી ઓઢી પ્રભુ પધાર્યા છે. ત્યારપછી આ સેવકે મહારાજના સ્નાન થયેલા અભિષેકયુક્ત જળને માથે ચડાવ્યું છે. ભીનું ધોતિયું ધોવાની સેવાને લાયક ન હોવા છતાં સેવા આજ મળી ગઈ છે. મહારાજનું ધોતિયું મારા સુધી હોય ક્યાંથી ! એમ મહિમાસભર થઈ સેવા કરી છે.

પૂજન-આરતી : મહારાજને ભાલને વિષે મલયાગર શીતલ ચંદન ચર્ચ્યું છે. તિલકને મધ્યે કુમકુમનો ચાંદલો કર્યો છે. કંઠને વિષે ગુલાબનાં, મોગરાનાં પુષ્પના હાર ધારણ કરાવ્યા છે. એવા શોભાયમાન સુંદર મનોહર મંગલમૂર્તિની મંગળા આરતી ઉતારી છે. "જય મંગલકારી પ્રભુ જય મંગલકારી..."

બાળભોગ : મહારાજને નાસ્તો કરાવવા સારુ ટેબલ-ખુરશી પર બિરાજમાન કર્યા છે. મહારાજ માટે ગરમ ગરમ ગોટા બનાવ્યા છે. કેસર નાખેલો કઢેલા દૂધનો કટોરો આપ્યો છે. મગજના લાડુ પણ થાળમાં મૂક્યા છે. મહાપ્રભુ ખૂબ પ્રેમથી જમાડી રહ્યા છે. દયાળુ, આપ નાના હતા ત્યારે આપને સુખડી બહુ ભાવતી હતી એમ કહી ગરમ ગરમ સુખડી આપી છે. મહારાજ ખૂબ ભાવથી જમાડી, પ્રસાદી સેવકને આપી સેવકને સુખિયો કર્યો છે. પછી જળ ધરાવ્યું છે. ત્યારબાદ પ્રભુને સભામાં પધારવા ભારે ભારે વસ્ત્રો ધારણ કરાવ્યાં છે. ભારે ભારે આભૂષણો પહેરાવ્યાં છે. ફૂલોના હાર વડે શણગાર્યા છે. મહારાજ સંતો-ભક્તોના મંડળે સહિત સભામધ્યે પધાર્યા છે અને સિંહાસન પર બિરાજમાન થઈ પોતાના આશ્રિતોને કથાવાર્તાથી સુખિયા કરી રહ્યા છે.

આમ, પ્રથમ માનસીપૂજા પૂરી થઈ.

(૨) દ્વિતીય માનસીપૂજા : (સવારે ૧૦:૩૦થી ૧૨:૦૦)

શ્રીજીમહારાજ સભામાં કથાવાર્તાનો સોથ વાળી રહ્યા છે. જમવાનો સમય થઈ ગયો છે. ઠાકોરજીના થાળ પણ તૈયાર થઈ ગયા છે. થાળ ઠંડા થઈ રહ્યા હોવાથી, સભામાં જઈ સેવકે મહાપ્રભુને પ્રાર્થના, વિનંતી કરી છે, "દયાળુ ! જમવા પધારો... સભાને થોડો સમય વિરામ આપો ! પ્રભુ જમાડવા પધારો." સેવકની પ્રાર્થના સાંભળી મહારાજને રુચિ નહિ હોવા છતાં સભા પૂર્ણ કરી છે ને પોતે ઊભા થયા છે. ચરણમાં ચાખડી ધારણ કરી ચટકંતી ચાલે, ઉતારે પધાર્યા છે. ભારે ભારે વસ્ત્રો, આભૂષણો કાઢી હળવાં વસ્ત્રો ધારણ કરાવ્યાં છે અને મહાપ્રભુને શીતળ જળ વડે કરી, હસ્ત-ચરણ પ્રક્ષાલન કરાવ્યાં છે. ત્યારબાદ રૂમાલ વડે કોરા કરાવ્યા છે.

હવે જમાડવા માટે મહાપ્રભુ ભોજનખંડમાં પધાર્યા છે. સુવર્ણના બાજોઠ ઉપર મશરૂમની ગાદી બિછાવી છે. તેના ઉપર મહારાજને બિરાજમાન કર્યા છે. સાથે બીજા બાજોઠ ઉપર સુવર્ણના મોટા થાળમાં ભાત ભાતની વાનગી પીરસીને થાળ મૂક્યો છે. થાળમાં સુંદર કઢેલો દૂધપાક છે, ગુલાબજાંબું છે, પૂરણપોળી છે. ઘીમાં તળેલી પૂરી છે. ફૂલકા રોટલી આપી છે. રીંગણ-બટાકાનું, ટીંડોરાનું, ભીંડાનું કોરું શાક, બે-ત્રણ જાતના કઠોળ પણ મૂક્યાં છે. અથાણાં, પાપડ, મરચાં, રાઈતા વગેરે પણ પીરસ્યાં છે. મહારાજે જમાડવાનું શરૂ કર્યું છે. નાના નાના ગ્રાસ મુખમાં મૂકી જમી રહ્યા છે. રસોઈનાં વખાણ કરતા જાય છે, જમતા જાય છે, ઉદર ઉપર હસ્ત ફેરવતા જાય છે. વચ્ચે વચ્ચે જળ ધરાવતા જાય છે. મહારાજને ખૂબ આગ્રહ કરીને સેવક જમાડી રહ્યો છે. મહારાજ ના... ના... કરતા રહે છે ને સેવક મહારાજના કાંડા પકડી પકડીને થાળ વાનગીથી છલકાવી દે છે. મહારાજે ખૂબ જમાડ્યું છે. મહારાજને ખૂબ પ્રસન્ન જાણી સેવકે પ્રાર્થના કરી છે, "દયાળુ ! અહંબુદ્ધિ, મમત્વબુદ્ધિ, અંતઃશત્રુ, અભાવ-અવગુણ-દ્રોહ વગેરે મહાદોષો થકી રક્ષા કરી અમે દિવ્યજીવન જીવીને આપના સંકલ્પમાં ભેળા ભળીએ એવી કૃપા કરજો... કૃપા કરજો." મહારાજે રાજી થઈ સેવકને થાળની પ્રસાદી આપી છે. મહારાજને હવે કાજુ-કમોદનો ભાત પીરસ્યો છે. ભાત મધ્યે કઢી નાખી છે. કઢી-ભાત જમાડી મહારાજ તૃપ્ત થયા છે. શીતળ એવું જળ ધરાવવા આપ્યું છે. મહારાજે લીંબુજળ વડે હસ્ત પ્રક્ષાલન કર્યું છે. રૂમાલ વડે હસ્ત કોરા કર્યા છે. સેવકે મહારાજના હસ્ત પકડી હળવેથી ખેંચીને ઊભા કર્યા છે. મુખવાસ તથા પાનનું બીડું મહારાજને આપ્યું છે. પાનબીડું ચાવી જળ વડે કોગળા કરી મુખ ચોખ્ખું કર્યું છે. થોડું જળ ધરાવ્યું છે અને હવે મહારાજ અક્ષરઓરડીએ પોઢવા પધાર્યા છે. સુંદર પલંગ બિછાવ્યો છે. એ.સી. ચાલુ કર્યું છે. મહારાજે લંબાવ્યું છે. સેવક ચરણસેવા કરી રહ્યો છે. મહારાજે ધીરે ધીરે યોગનિદ્રાને ગ્રહણ કરી છે. ધીરેથી અક્ષરઓરડીનાં દ્વાર બંધ કર્યાં છે.

આમ, દ્વિતીય માનસીપૂજા પૂરી થઈ.

(૩) તૃતીય માનસીપૂજા : (સમય ૩:૩૦થી ૪:૩૦)

અક્ષરઓરડીમાં મહારાજ સુખેથી પોઢેલા છે. અક્ષરઓરડીનાં દ્વાર ધીમેથી ઉઘાડી મહાપ્રભુને દંડવત-દર્શન કર્યાં છે. મહારાજને ચરણસ્પર્શ કરી હળવેકથી જગાડ્યા છે. મહારાજ સફાળા બેઠા થયા છે. મહારાજને ખૂબ પ્રાર્થના કરી છે. મહારાજને મીઠું જળ કોગળા કરવા આપ્યું છે. મહારાજે સ્નાન કરવાની ઇચ્છા દર્શાવી છે. શીતળ જળ વડે સ્નાન કર્યું છે. સ્નાન કરતા થકા સેવક પર જળનો છંટકાવ કરી જળક્રીડાનું સુખ આપી રહ્યા છે. કોરી શ્વેત ધોતી ઉપર ઝીણો શ્વેત ઝભ્ભો ધારણ કરી મહારાજ પધાર્યા છે. મહારાજ માટે થોડો નાસ્તો લાવ્યા છીએ. નાસ્તામાં સૂકો મેવો મૂક્યો છે. લીલી-કાળી પાકી દ્રાક્ષ મૂકી છે. પાકું પપૈયું સુધારીને આપ્યું છે. તડબૂચ પણ સુધારીને આપ્યું છે. લીંબુનાં શરબત, ફ્રૂટનોજયૂસ પણ ધર્યો છે. મહારાજ બધું જ થોડું થોડું જમાડતા જાય છે, રાજી થતા જાય છે. પ્રેમલક્ષણાભક્તિથી વશ થઈ નેત્રની સાન કરતા થકા રાજીપો આપતા જાય છે. સેવકને પ્રસાદી પણ આપી છે. પછી મહારાજે શીતળ જળ ધરાવ્યું છે. પછી ભારે ભારે વાઘા ધારણ કરવા આપ્યાં છે.

સુંજરૂ વાઘા-આભૂષણોથી મહારાજ સજીધજી ચરણમાં ચાખડી પહેરી, હસ્તે સોટી ગ્રહણ કરી, ઉતાવળા થકા સભામધ્યે પધાર્યા છે. મહારાજ પધાર્યા જાણી છડીના પોકારો થવા માંડ્યા છે. મહારાજે સર્વેને છાના રાખ્યા છે. પછી ભક્તોએ પ્રાર્થના કરી છે :

"મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી."

મહારાજ પ્રાર્થના સાંભળી પ્રસન્ન થયા છે. પછી પોતાની અમૃતવાણીનો પ્રવાહ શરૂ કર્યો છે.

આમ, ત્રીજી માનસીપૂજા પૂરી થઈ.

(૪) ચતુર્થ માનસીપૂજા : (સાંજે ૬:૩૦થી ૮:૦૦)

મહારાજ સન્મુખ સંતો-હરિભક્તોની હકડેઠઠ સભા જામી છે. મહારાજને કથાવાર્તાનો ધરવ જ થાતો નથી; કર્યે જ રાખે છે. સેવકે પ્રાર્થના કરી છે, "મહારાજ, દયાળુ ! જમવા પધારો વ્હાલા. થાળ તૈયાર છે." પરંતુ મહારાજે પ્રાર્થનાને કાને ધરી ન ધરી કરી, કથાના તાનમાં મસ્ત બન્યા છે. સંતો-હરિભક્તોએ ખૂબ વિનંતી કરી એટલે મહારાજ કમને સભા પૂર્ણ કરી ઊભા થયા છે. ચરણે ચાખડી ધારણ કરી ચાખડીના ચટાકા બોલાવતા મહારાજ પધાર્યા છે. ભારે ભારે વસ્ત્રો-આભૂષણો ઉતાર્યાં છે. હળવી ધોતી-ઝભ્ભો ધારણ કરાવ્યો છે. જળ વડે હસ્ત, ચરણ, મુખ પ્રક્ષાલન કરાવ્યું છે. ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે બિરાજમાન કર્યા છે. સુવર્ણના થાળમાં ગરમ ભાખરી, બાજરાનો રોટલો. એમાં ઝાઝું ઘી નાખ્યું છે. સાથે ઢીલી ખીચડી પીરસી છે. ખીચડીમાં ખાડો કરી ઘી ઝાઝું રેડ્યું છે. બે-ત્રણ જાતનાં શાક પીરસ્યાં છે. કઢેલા તાજા દૂધની તાંસળી આપી છે. મહારાજને પ્રાર્થના કરી એટલે મહારાજે જમાડવાનું શરૂ કર્યું છે. જમાડતા જાય છે, ઉદર પર હસ્ત ફેરવતા જાય છે. મહારાજને માટે હળવો ખોરાક એવો હાંડવો આપ્યો છે, ઢોકળાં આપ્યાં છે. મહારાજ કહે, રાખો રાખો હવે, બહુ થયું એમ કરતા જાય છે. અને ખૂબ તાણ કરી કરીને મહારાજને જમાડ્યું છે. હવે મહારાજે સિંહગર્જના કરીને આગ્રહ કરવાની મનાઈ કરી છે. મહારાજને શીતળ જળ આપ્યું છે. જળ વડે હસ્ત પ્રક્ષાલન કરી જળ ધરાવ્યું છે. જાત જાતના મુખવાસ ને પાનબીડું આપ્યું છે. મહારાજે થોડું વૉકિંગ કર્યું છે. ત્યારબાદ ભારે વસ્ત્રો ધારણ કરી બગીચામાં બિરાજમાન થયા છે. મહારાજની સંધ્યા આરતી કરી છે.

"જય સદ્દગુરુ સ્વામી..."

ત્યારબાદ ધૂન્ય-અષ્ટક-સ્તોત્ર વગેરે શરૂ કર્યાં છે. સૌ સંતો-ભક્તો આરતીમાં મગ્ન બન્યા છે. ત્યારબાદ તેને સમાપ્ત કરી સભામાં બિરાજમાન થયા છે. ગવૈયા સંતો તેમજ ભક્તોએ કીર્તનભક્તિની રમઝટ બોલાવી છે. ત્યારપછી મહાપ્રભુજીએ નેત્રકમળ વડે સાન કરી છે અને ધૂન બોલાવી છે. પછી કથાવાર્તાની સરવાણી શરૂ કરી.

આમ, ચતુર્થ માનસીપૂજા પૂર્ણ થઈ.

(૫) પંચમ માનસીપૂજા : (રાત્રે ૯:૦૦થી ૧૦:૦૦)

શ્રીજીમહારાજ સહુ સંતો-ભક્તોને આનંદ પમાડતા થકા કીર્તનની રમઝટ વગાડી રહ્યા છે. મહારાજ જરા થાકેલા જણાય છે. સેવકે પ્રાર્થના કરી, "દયાળુ ! આપ પધારો... આપ ખૂબ શ્રમિત જણાવ છો. આપનાં નેત્રકમળ પણ નિદ્રાથી ઘેરાય છે. માટે આપ પોઢવા માટે પધારો." સભાનું વિસર્જન કરી મહારાજ ચરણે ચાખડી, હસ્તે સોટી ધારણ કરતા થકા ધીરા ડગે ડગ માંડીને ચાલી રહ્યા છે. રસ્તામાં સૌને પ્રસન્ન થકા દૃષ્ટિ રેલાવીને સુખિયા કરતા થકા, અક્ષરઓરડીએ પધાર્યા છે. મહારાજે ભારે ભારે વસ્ત્રો-આભૂષણો ઉતાર્યાં છે. હળવી શ્વેત ધોતી, શ્વેત ઝીણો ઝભ્ભો ધારણ કરાવ્યાં છે. મહારાજને કઢેલા દૂધનો કટોરો ધરાવવા આપ્યો છે. મહારાજે ગ્રહણ કર્યો છે. પછી શીતળ જળ આપ્યું છે. જળનો લોટો ધરાવી મહારાજને પોઢવા માટે છપ્પર પલંગ ઢાળ્યો છે. ફૂલોથી-અત્તરથી સુખશય્યા સજાવી છે. મહારાજને ઓઢવા ચાદર આપી છે. મહારાજ સુખશય્યામાં પોઢ્યા છે. સેવક હળવા હાથે ચરણસેવા કરી રહ્યો છે. મહારાજ ધીરે ધીરે યોગનિદ્રાને ગ્રહણ કરી પોઢી ગયા છે. પંખો તથા એ.સી. ચાલુ કર્યા છે. અક્ષરઓરડીનાં દ્વાર બંધ કર્યાં છે.

આમ, પંચમ માનસીપૂજા પૂરી થઈ.

ઋતુ ઋતુ પ્રમાણેના થાળ, ભોજન, મેવા-મીઠાઈ, વસ્ત્રો, પુષ્પહારો, પલંગો, ઓઢવાનાં વસ્ત્રો, પહેરવાનાં વાઘા વગેરે બદલીને માનસીપૂજા કરવી. (સંસ્થામાં પ્રકાશિત થયેલ માનસીપૂજા કેસેટ/MP3 દ્વારા માનસીપૂજા કરી શકાય. તથા સંસ્થાની સાઈટ પર પણ ઉપલબ્ધ છે.)