નિત્યપૂજા

પૂજા કોની કરવી ? શા માટે ?

અનંતકોટિ બ્રહ્માંડોને વિષે એક અને અજોડ, એકમેવાદ્વિતીય બ્રહ્મ એવા સનાતન પુરુષોત્તમ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરાય.

સ્વામિનારાયણ ભગવાન આપણા ઇષ્ટદેવ છે.

ઇષ્ટદેવ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી, ભાવથી આદર-સત્કાર કરવો, સમર્પિત થઈ જવું કે એમનામાં સમાઈ જવું કે પછી એમને આદરપૂર્વક આભારિત થવું એટલે જ પૂજા.

રાત્રે સૂઈ ગયા પછી રોજ સવારે આપણને ઉઠાડી એક નવું જીવન, નવો દિવસ, નવી પળ, નવો ઉત્સાહ, નવી શક્તિ ને નવી સ્ફૂર્તિ બક્ષે છે, જેના અગણિત ઉપકારો પ્રત્યે આપણે મૌન રીતે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ. એટલા માટે જ પ્રભાતના પરમ માંગલિક અવસરે પ્રભુને "થેંક યૂ" (Thank You) કહેવું એ જ આપણી પૂજા બની જશે.

નિત્યપૂજા એટલે શું ?

- સનાતન પુરુષોત્તમ એવા સ્વામિનારાયણ ભગવાનની રોજ નિયમિતપણે વ્યક્તિગત થતી પૂજા એટલે નિત્યપૂજા.

- નિત્યપૂજા એટલે ઇષ્ટદેવ સાથે અંગત મિ‍‍ટિંગ.

- નિત્યપૂજા એટલે મહારાજ સાથે મીઠી ગોઠડી (ગોષ્ઠિ).

- નિત્યપૂજા એટલે મહારાજ સાથે અંતરાય રહિતની સ્થિતિનું નિર્માણ.

- નિત્યપૂજા એટલે મહારાજ સાથે ઓતપ્રોત, સંલગ્ન, એકાકાર થવાનો સમયગાળો.

- નિત્યપૂજા એટલે રોમાંચિત ગાત્રે, પ્રેમવિભોર થઈ, પ્રગટ અને પ્રત્યક્ષભાવે મહારાજનો અત્યંત રાજીપો કમાવાનું સાધન

- નિત્યપૂજા એટલે મહારાજને ભેટવાનો અવસર.

- નિત્યપૂજા એટલે "હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, મને રાખ્યો મૂર્તિમાં ને આવ્યું મારે સુખ ભોગવવાનું ટાણું." એ પ્રમાણે અનુભવ કરવાનો અવસર.

નિત્યપૂજાનો અધિકાર કોને કોને ?

શ્રીજીમહારાજે પ્રત્યક્ષ પૂજાનો અધિકાર દરેક વ્યક્તિને બક્ષ્યો છે. બાળ, કિશોર, યુવક, બાલિકા, યુવતી કે મહિલા એમ ગૃહસ્થોને તેમજ ત્યાગીઓને પણ પૂજા કરવાની આજ્ઞા કરી છે. શ્રીજીમહારાજે તથા મોટાપુરુષોએ રુચિ બતાવી કે બાળક ૮ વર્ષનું થાય ત્યારથી જ એને નિત્યપૂજા આપી દેવી જોઈએ અને તે પ્રત્યક્ષ પૂજા ૮૦ વર્ષની ઉંમર સુધી તો અવશ્યપણે કરવી જોઈએ. ૮૦ વર્ષથી વધારે ઉંમરવાળાને પૂજા ન જ કરવી એમ ન સમજવું, પણ જે શરીરે નીરોગી હોય અને દૈહિક ક્રિયા બરાબર થતી હોય તો પૂજા કરી શકાય. એમાં રાજીપો વિશેષ થાય. પરંતુ શારીરિક અક્ષમતાને કારણે નિત્યપૂજા ન થઈ શકે તો એમાં કોઈ દોષ નથી. માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની નિત્યપૂજા અવશ્ય કરવી.

વ્યક્તિગત પૂજા કેમ ? શાથી ?

મંદિરોમાં તથા આપણા ઘરમંદિરમાં શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે. તો ત્યાં પૂજા જરૂર થઈ શકે પરંતુ એ સામૂહિક પૂજાનાં સ્થળો છે. એ સહિયારો સત્સંગ છે. શ્રીજીમહારાજે સહિયારો સત્સંગ નહિ પરંતુ દરેકને આગવો, વ્યક્તિગત સત્સંગ એટલે કે દરેકને વ્યક્તિગત પૂજા કરવાની આજ્ઞા કરી.

સમૂહ પૂજા કે સમૂહ સેવા અને વ્યકિતગત પૂજા બંને વચ્ચે મોટા તફાવત છે. બંનેની સરખામણી થઈ શકે જ નહીં. જેમ ઠંડી પોતાને લાગી હોય તો સ્વેટર બીજો પહેરશે તો ઠંડી ન ઊડે. ઠંડી ઉડાડવા પોતે જ સ્વેટર પહેરવું જોઈએ. જો તરસ આપણને લાગે ને પાણી કોઈ બીજો પીવે તો ન ચાલે. આપણને કકડીને ભૂખ લાગી હોય ને બીજો ધરાઈને જમી લે તો આપણને ન ચાલે. ઊંઘ આવે આપણને એને બદલે કોઈ બીજો ઊંઘે તો ન ચાલે. આપણે જ આપણી ભૂખ ભાંગવા જમવું પડે. આપણે જ પાણી પીવું પડે તો જ તરસ છિપાય. આપણે સૂઈએ તો જ આપણી ઊંઘ પૂરી થાય. એમ કેટલીક ક્રિયાઓ એવી છે કે જે આગવી જ કરવી પડે. એમાં કોઈનો લાગ-ભાગ ચાલે નહીં. એવી રીતે નિત્યપૂજા એ આગવી ક્રિયા છે અને તે વ્યક્તિગત છે. વ્યક્તિગત પૂજા એટલે વ્યક્તિનું પોતાનું સુવાંગ (આગવું) ઘડતર...! સુવાંગ સેવા... સુવાંગ રાજીપો... સુવાંગ મુલાકાત... સુવાંગ સુખ.

પૂજા માત્ર કરવા ખાતર જ ન થઈ જાય તે માટે પૂજા કરનારે આટલું જાણપણું રાખવું.

- પૂજા એ માત્ર પ્રક્રિયા (processor) નથી. પૂજા એ કાંઈ ઠાકોરજી જમાડવાનું લાઈસન્સ નથી.

- પૂજા કદી મશીનવત્ ન થાય.

- પૂજા પરાણે ન કરવી. એમાં આળસ ન કરવી.

- ‘ચાલશે’, ‘આજે નથી કરવી’, ‘એક દિવસ ન કરીએ તો શું ખાટું-મોળું થઈ જવાનું છે’ એવી ભાવના ન રાખવી.

- ટેલીફોન કરવાનાં હોય તો પૂજા કર્યા પછી જ બધું થાય.

- પૂજા કર્યા વગર જળનું ટીપું પણ મોંમાં ન મુકાય તો પછી જમી તો કેમ શકાય જ ?

- પૂજા રૂટિન ન બની જવી જોઈએ.

- શુષ્કભાવે કરેલી પૂજા પ્રભુ અંગીકાર કરતા નથી.

- પૂજાને વેઠ ન સમજવી.

સૂતકના દિવસોમાં પૂજા ન કરાય. પણ તિલક-ચાંદલો, માનસીપૂજા કે માળા કરી શકાય.

પૂજા ગમે ત્યાં જઈએ, દેશમાં હોઈએ કે પરદેશમાં હોઈએ, ગામમાં હોઈએ કે પરગામ જઈએ, લગ્નમાં કે પ્રસંગમાં, કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસતો વરસાદ હોય, ચાહે કોઈ પણ ઋતુ હોય પણ પ્રત્યક્ષ પૂજા અવશ્યપણે આપણી સાથે હોવી જોઈએ અને કરવી જોઈએ.

ઘણા ઘરે હોય ત્યારે પૂજા કરે પણ બહારગામ જાય ત્યારે સાથે પૂજા ન લઈ જાય. આવો સગવડીયો ધર્મ ન રાખવો. શરમ આવે છે, બેગમાં જગ્યા રોકાય છે ! આવાં બહાના હેઠળ પૂજા કરવાનું ટાળતા હોય. પણ એ જ વ્યક્તિ જ્યાં જાય ત્યાં દાઢી કરવાનો સામાન તો સાથે ને સાથે જ લઈ જાય છે. એની શરમ આવતી નથી ! એ સામાન બેગમાં જગ્યા નથી રોકતો ! ઘણાંય દાઢી (Shaving) તો નિત્યપૂજાની માફક જ નિત્ય કરતા હોય છે. જો દાઢી કર્યા વગર દરરોજ ચાલતું ન હોય તો પછી ભગવાનની પૂજા કર્યા વગર ચાલે જ કેમ ? ભગવાન તો આપણું જીવન છે, આપણો શ્વાસ છે, આપણું હૃદય છે. એની પૂજા કર્યા વગર એક દિવસ પણ કેમ ચાલે ?

પૂજા કયા સમયે કરવી ?

વ્યક્તિગત પૂજાનો આદર્શ સમય બ્રાહ્મમુહૂર્ત છે. બ્રહ્મ કહેતાં ભગવાન. ભગવાનમાં જોડાવાનો સમય એને કહેવાય બ્રહ્મ મુહૂર્ત. શ્રીજીમહારાજે પ્રાતઃ સમયે જ પૂજા કરવાની આજ્ઞા કરી છે. દિવસ દરમ્યાન ગમે ત્યારે, ગમે તે સમયે પૂજા કરી લેવી એવી આજ્ઞા નથી કરી. દિવસના પ્રારંભે જ શૌચવિધિ, સ્નાનાદિક વિધિથી પરવારી, સાંસારિક પ્રવૃત્તિ કરતાં પહેલાં જ નિત્યપૂજા કરી લેવી અને પછી જ તમામ વ્યવહારિક ક્રિયામાં જોડાવાય.

પ્રાતઃ સમયે શાંત, રમણીય વાતાવરણમાં મનુષ્યનું મન શાંત હોય, પ્રવૃત્તિનો પ્રારંભ થયો ન હોય. પ્રવૃત્તિની પરાકાષ્ઠાએ હજુ પહોંચ્યા ન હોય એવું નિર્મળ, શાંત, ફ્રેશ મન ભગવાનને પ્રથમ અર્પણ કરવું. એવા સમયે સહેજે જ વૃત્તિઓ ભગવાનમાં પરોવાઈ જતી હોય છે. જો પૂજા મોડી કરીએ તો ઘરનાં બાળકો જાગી ગયાં હોય. ફોનની રિંગો ચાલુ થઈ ગઈ હોય અને જો પૂજા કરવા બેસીએ તો નાનાં બાળકો પૂજાના આસન ઢસડી જશે, મૂર્તિઓ ઉઠાવશે, પૂજાની પ્રસાદી ઉપાડી જશે... વગેરે... પૂજાની એકાગ્રતા ચલિત થશે. પરિણામે પૂજા કરવા ખાતર જ થશે અને અડધો કલાકની પૂજા પાંચ મિનિટમાં આટોપાઈ જશે.

પૂજા કયા સ્થળે કરવી ?

પૂજા દરમ્યાન કોઈ વિક્ષેપ કે ખલેલ ન પહોંચે એવું શાંત અને એકાંત સ્થળ પસંદ કરવું. જગ્યા શુધ્ધ અને પવિત્ર પસંદ કરવી. ઘરમાં પૂજા કરતા હોય તો જ્યાં પૂજા કરવાની હોય તે સ્થળને વિષે પોતું કરી જગ્યા ચોખ્ખી કરી નાખવી. અને જો મંદિરની નજીક રહેતા હોઈએ તો પૂજા મંદિરે કરવી. ત્યાંનું વાતાવરણ ભગવાનમય હોય છે, પવિત્ર અને સાત્ત્વિક હોય છે માટે તે પૂજા કરવાનું અતિ ઉત્તમ સ્થાન છે. પ.પૂ. સ્વામીશ્રીએ રુચિ જણાવી છે કે શક્ય હોય ત્યાં સુધી મંદિર નજીક રહેતા હરિભક્તોએ મંદિરમાં જ પૂજા કરવી.

પૂજા વખતે પરિધાન કરવાનાં વસ્ત્રો

શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે કે જે બીજા કોઈ વસ્ત્રને અડ્યા ન હોય એવું શુધ્ધ વસ્ત્ર એક પહેરવું તથા એક ઓઢવું. પુરુષ વર્ગે ફરજિયાતપણે ધોતી પહેરવી અને ઊપરણી (ઉપવસ્ત્ર) ઓઢવી. પૂજાનાં વસ્ત્રો અન્ય વસ્ત્રોથી નોખાં રાખવાં. પૂજા બાદ વસ્ત્રોને વાળીને તેના સ્થાનકે મૂકી દેવાં. લાંગ વગર પૂજા ન થાય. ધોતિયાંના ચારેય છેડા ખોસેલા હોય તેવી ધોતી પહેરવી. તે આદર્શ ધોતી કહેવાય. ધોતિયાંને શરીરની ફરતે ટુવાલ ને લૂંગીની માફક વીંટાળીને પૂજા ન કરાય. ધોતી પહેરતાં શરમ કે સંકોચ અનુભવશો નહિ પરંતુ શ્રીજીમહારાજને રાજી કરવા જ છે તો અલ્પ આજ્ઞા પણ આપણે લોપવી નથી એવા ભાવથી પૂજા કરવી.

પૂજા લૂંગી, ચડ્ડી, ટુવાલ, લેંઘો-બનિયાન કે પેન્ટ-શર્ટ પહેરીને ન કરાય કે પછી મહારાજ સન્મુખ ઉઘાડે શરીરે પણ ન બેસાય. આપણે કોઈ મોટી વ્યક્તિને મળવા જઈએ છીએ ત્યારે શરીર ફરતે ટુવાલ વીંટાળીને કે લૂંગી પહેરીને ઉઘાડે શરીરે જઈએ છીએ ? તો પછી પૂજામાં તો રાજામહારાજાધિરાજ મહાપ્રભુને મળવાનું છે. માટે એવા અરુચિકર વસ્ત્રો ન પહેરાય.

પૂજાનો ક્રમ

(૧) આસન પાથરવું. (૨) તિલક-ચાંદલો કરવો. (૩) માનસીપૂજા કરવી. (૪) મૂર્તિઓ પધરાવવી. (૫) આહ્ વાન મંત્ર બોલવો. (૬) માળા ફેરવવી. (૭) તપની માળા ફેરવવી. (૮) પ્રદક્ષિણા કરવી. (૯) દંડવત્ પ્રણામ કરવા. (૧૦) પ્રસાદ ધરાવવો. (૧૧) પ્રાર્થના કરવી. (૧૨) મૂર્તિઓનું વિસર્જન કરવું. (૧૩) પુસ્તિકાઓનું વાંચન કરવું.

(૧) આસન :

(૧) આસન

સૌપ્રથમ શુદ્ધ ધોતી-ઉપરણી ધારણ કરી પૂજા કરવા માટે પોતાને સારી પેઠે બેસી શકાય એવું, ફાટેલું, કાણાંવાળું, મેલું, જર્જરિત ન હોય એવું તથા ગરમ વસ્ત્ર અથવા બને તો ઊનનું પાથરણ પાથરવું. ત્યારબાદ પૂજાપેટી ખોલવી. પૂજા પેટી પણ શુધ્ધ અને પવિત્ર જોઈએ.

હવે શ્રીજીમહારાજને બિરાજમાન કરવા માટે ઓછામાં ઓછાં બે કે ત્રણ આસન બિછાવવાં. આપણા ઘેર કોઈ મહેમાન આવે ત્યારે સુંદર બિછાનાં બિછાવીએ છીએ, નવી ચાદર પાથરીએ છીએ, એમ મહારાજ માટે પણ શુદ્ધ, પવિત્ર, પોચાં-મલમલનાં કે રેશમી કે ઊનનાં ગરમ વસ્ત્ર બિછાવવાં.

ઠાકોરજીનાં આસન પણ મેલાં-ઘેલાં કે લઘરવઘર, જીર્ણ થયેલાં, ડાઘા-ડૂઘી પડેલાં ન ચાલે. ઠાકોરજીનાં આસનને પંદર દિવસે કે મહિને અચૂક ધોઈ નાખવાં.

ઠાકોરજીના માટે સુંદર બિછાનું તૈયાર કરી એના ઉપર મૂર્તિઓને એકત્ર રાખીને જ બિરાજમાન કરવી. ‘શિક્ષાપત્રી સાર’, ‘વચનામૃત સાર’, ‘બાપાશ્રીની ટૂંકી વાતો’, ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકા પણ એકત્ર કરીને મૂકો. પ્રસાદીની વાટકીમાં પ્રસાદ પણ મૂકી દેવો.

(૨) તિલક-ચાંદલો

તિલક એ મહારાજનું પ્રતીક છે અને ચાંદલો એ મુક્તનું પ્રતીક છે. તિલકમાં ચાંદલો રહેલો છે તેમ મહારાજમાં મુક્ત રહેલા છે. તિલક-ચાંદલો એ અનાદિમુક્તની સ્થિતિનું પ્રતીક છે. પુરુષવર્ગે કુમકુમનો ચાંદલો ભાલને વિષે કરવો અને ચંદનનું તિલક કરવું. સ્ત્રી વર્ગે માત્ર કુમકુમનો ચાંદલો કરવો.

આપણને મોટાપુરુષોએ અનાદિમુક્તની સ્થિતિની લટક પ્રમાણે પ્રતિલોમપણે પૂજાનો પ્રારંભ કરવાનું શિખવાડ્યું છે. એટલે કે મહારાજ જ મહારાજના ભાલને વિષે, બાહુને વિષે, છાતીને વિષે તિલક-ચાંદલો કરી રહ્યા છે. અંતરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટણ કરતાં રહેવું. તિલક-ચાંદલો પૂજાના પ્રારંભ પહેલાં જ કરી લેવો. પછી જ પૂજા શરૂ થાય. તિલક-ચાંદલો એ સત્સંગીનું આભૂષણ છે. અખંડ સૌભાગ્યનું પ્રતીક છે. ઠાકોરજી સાથે હથેવાળો થયો છે તેનું ચિહ્ ન છે. માટે સત્સંગીએ ફરજિયાતપણે તિલક-ચાંદલો કરવો જ; એમાં શરમ ન રાખવી.

ચાંદલો નાનકડી ટીબકડી જેવડો કે નાની બિંદી જેવો ન કરવો. મોટા સંતો કહેતા કે ચાંદલો રૂપિયા જેવડો મોટો કરવો. દૂર કોઈ ઊભો હોય તો એને પણ દર્શન થાય. ચાંદલો જોઈને કોઈ બોલે કે, "જો સ્વામિનારાયણિયો ઊભો છે" તો તેનું પણ મહારાજ રૂડું કરે, છેલ્લો જન્મ કરે. કોઈ ભાવથી બોલે કે કુભાવથી બોલશે તોયે જરૂર એનું રૂડું તો થશે જ. માટે નિઃસંશય થઈને, શરમ મૂકીને સ્કૂલ, કૉલેજમાં ભણતા હોય કે કોઈની મેનેજર પોસ્ટ હોય કે દેશના વડાપ્રધાનનું પદ હોય તોપણ ફરજિયાત તિલક-ચાંદલો કપાળમાં ધારણ કરેલાં હોવાં જ જોઈએ. શ્રીજીમહારાજનો ચાંદલો આપણા સુધી હોય ક્યાંથી ? એવું અખંડ ગૌરવ રાખવું.

(૩) માનસીપૂજા

નેત્ર બંધ કરી પ્રથમ માનસીપૂજા કરવી. જેમાં મનસા દિવ્ય રુપે મહારાજને જગાડવા. પછી શૌચ-દાતણ આદિ ક્રિયા કરાવવી. મહારાજને ઋતુ પ્રમાણે ઠંડા-ઊના જળથી સ્નાન કરાવવું. પછી સુંદર કીમતી વસ્ત્ર-અલંકારો ધારણ કરાવી સિંહાસન પર બિરાજમાન કરાવી આરતી કરવી. કેસર, ઇલાયચીએ યુક્ત દૂધ સાથે નાસ્તો કરાવવો. પછી મહારાજની ચંદન-પુષ્પના અર્ચનથી પૂજા કરવી. આમ માનસીપૂજા કરવી.

(૪) મૂર્તિઓ પધરાવવી

મૂર્તિ એ કાંઈ ફોટો નથી. સ્વયં સાક્ષાત્ અક્ષરધામનું સ્વરૂપ છે. શ્રીજીમહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન થવાના છે. માટે એક એક મૂર્તિને ચરણસ્પર્શ કરતા થકા, શુદ્ધ વસ્ત્ર વડે (જે કાયમી પૂજામાં રાખવું.) હળવેથી લૂછવા (સ્નાન કરાવવું.) મહારાજને સ્નાનાદિક વિધિ કરાવીએ છીએ એવો ભાવ અખંડ રાખવો. ત્યારબાદ મહારાજને વાગી ન જાય એવા પ્રગટભાવે ચરણસ્પર્શ કરી મૂર્તિને આસન પર પધરાવવી.

મૂર્તિઓને વિષે ખાસ ધ્યાન રાખવું કે આપણી પતિવ્રતાની ભક્તિ છે. આપણે સર્વોપરી ઉપાસનાના ઉપાસકો છીએ. એટલે દિવ્યપૂજાને વિષે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને એમના સર્વોપરી સ્વરૂપને જેમ છે તેમ ઓળખાવ્યું છે એવા આપણા બાપાશ્રી તથા આપણી અમીરપેઢીના સદ્ગુરુશ્રીઓની મૂર્તિઓને પધરાવવી.

મહારાજ અને મુક્તની પૂજામાં બધું જ આવી જાય છે. એટલે બીજી કોઈ મૂર્તિઓ રાખવી એવો આગ્રહ રાખવો જરૂરી નથી. પૂજાની મૂર્તિ ખંડિત કે જીર્ણ થયેલી રાખવી નહીં. તેમજ માનસીપૂજામાં મહારાજની ચંદનથી પૂજા કરવી પણ પ્રત્યક્ષ પૂજામાં ચંદનથી પૂજા ન કરવી. પૂજામાં ‘શિક્ષાપત્રી સાર’ ‘વચનામૃત સાર’, ‘બાપાશ્રીની ટૂંકી વાતો’ અને ‘હરિને ગમે એવા થવું જ છે’ એ પુસ્તિકાઓ અવશ્ય રાખવી.

(૫) આહ્ વાન મંત્ર

કેવળ કૃપા કરી આપણી સેવાને અંગીકાર કરવા મહારાજ અને મુક્તને પ્રગટ અને પ્રત્યક્ષપણે બિરાજમાન કરવા માટે હાથ જોડી, પ્રાર્થના રૂપે આહ્ વાન મંત્ર બોલવો.

ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ, સ્વામિનારાયણ પ્રભો ।

ધર્મસૂનો દયાસિન્ધો સ્વેષાં શ્રેયઃ પરં કુરુ ।।

આગચ્છ ભગવન્ દેવ, સ્વસ્થાનાત્ પરમેશ્વર ।

અહં પૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ ।।

કદાચ આ સંસ્કૃત શ્લોક ન આવડતો હોય તો પ્રાર્થના કરવી કે, "હે દયાળુ ! આપ જયારે મને સેવા આપવા તત્પર બન્યા છો તો આપ આ પ્રત્યક્ષ પૂજામાં આવીને બિરાજમાન થાવ, સેવાને અંગીકાર કરો. મારી પાત્રતા ન હોવા છતાં આપ જ્યારે પધાર્યા છો ત્યારે ભાવથી મારી પૂજાનો સ્વીકાર કરો, દયાળુ ! સેવાનો સ્વીકાર કરો. પૂજામાં કાંઈ ક્ષતિ-ત્રુટિ રહી જાય તોપણ હે દયાળુ ! સ્વીકારી લેશો. પધારો મહારાજ... પધારો મહારાજ !" એમ પ્રાર્થના કરવી.

(૬) માળા

માળાને ગૌમુખીમાં રાખીને ફેરવવી પણ ઉઘાડી ન ફેરવવી. અને એકાગ્રતાથી માળા ફેરવવી. માળા નીચે જમીનને ન અડે એમ ફેરવવી. મણકે મણકે સ્વામિનારાયણ મંત્રનું એકાગ્રતાથી રટણ કરવું. એવી ઓછામાં ઓછી પાંચ માળા ફેરવવી. ત્યારબાદ એક માળા ગુરુમંત્રની પણ ફેરવવી. આપણો ગુરુમંત્ર છે... "અહં અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મિ." અને જો એ સંસ્કૃતમાં બોલતાં ન ફાવે તો ગુજરાતીમાં "શ્રીજીમહારાજે મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે." એવી રીતે મૂર્તિરૂપ થઈ દેહાધ્યાસનો પ્રલય કરતા થકા એક માળા ફેરવવી.

પૂજામાં મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજ્યા છે માટે તેમની આમન્યા રાખવી. પૂજા વખતે ન બગાસું ખાવું કે ન આડાંઅવળાં ડાફોળિયાં મારવાં કે ન બોલવું કે ન ઇશારા કરવા કે ન મોબાઇલ ફોનથી વાત કરવી. સીધા ટટ્ટાર બેસી સુખેથી માળા ફેરવતાં ફેરવતાં મહારાજના સ્વરૂપમાં લીન થઈ જવું.

બોટાદના શિવલાલ શેઠ પૂજા કરવા બેસતા ત્યારે શ્રીજીમહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ પધારતા. મંદિરેથી સંતો અને હરિભક્તો પણ શિવલાલ શેઠની પૂજામાં પધારેલા મહારાજનાં દર્શન કરવા આવતા. શિવલાલ શેઠની તમામ સેવાને અંગીકાર કરતા એવાં દર્શન સંતોને થતાં હતાં. એક વખત અડધી પૂજાએ સંતો ઊઠીને ચાલ્યા ગયા. શિવલાલ શેઠે પૂછ્યું, "સંતો, રોજ તમે મારી પૂજા પતી ગયા પછી જ જાવ છો. આજે કેમ અડધી પૂજાએ જતા રહ્યા ?" સંતોએ કહ્યું, "શિવલાલ શેઠ, આજે અડધી પૂજાએ તમારા મુનિમે તમને કાંઈક પૂછ્યું અને તમે ઇશારાથી એને સાન કરી એટલે મહારાજ પૂજામાંથી જતા રહ્યા. મહારાજનાં દર્શન બંધ થઈ ગયાં. અમે તો મહારાજનાં દર્શન કરવા આવતા હતા. મહારાજ જતા રહ્યા પછી અમારે બેસીને શું કામ હતું ? માટે વહેલા જતા રહ્યા.” માટે પૂજા એકાગ્રતાથી તથા ખૂબ જ પ્રગટભાવે કરવી.

(૭) તપની માળા

પૂજાસ્થાને ઊભા થઈ ડાબા પગે ઊભા રહી, જમણા પગથી આંટી આપવી. જેમ નીલકંઠ વર્ણીએ જે તપ કર્યું હતું તેની સ્મૃતિ રૂપે તપની એક માળા ફેરવવી.

(૮) પ્રદક્ષિણા

પૂજાની ફરતે ઓછામાં ઓછી પાંચ પ્રદક્ષિણા કરવી. મહારાજ આપણા જીવનના કેન્દ્રસ્થાને છે. જીવનમાં જે કાંઈ કરવાનું છે તે મહારાજને સેન્ટરમાં રાખીને જ કરવાનું છે. લગ્નમાં જેમ ફેરા ફરાય છે તેમ અહીં જીવનાં જીવન સાથેના ફેરા છે. મહારાજ સાથે લગ્નગ્રંથિ એટલે કે આપણા જીવનપણાના આધારથી જોડાયા છીએ તેના પ્રતીક રૂપે પ્રદક્ષિણા છે.

(૯) દંડવત

આપણું અંગે અંગ મહારાજને સમર્પિત કરવું છે. એ સમર્પણની ભાવનાના પ્રતીક રૂપે દંડવત્ પ્રણામ છે. દંડવત કરતી વખતે પ્રાર્થનાના શ્લોકો બોલવા. "આવ્યા અક્ષરધામના આ રાજા." ઓછામાં ઓછા પાંચ દંડવત કરવા અને છઠ્ઠો દંડવત શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૪૦મા વચનામૃતમાં આજ્ઞા કરી તે મુજબ જાણે, અજાણે, મન, કર્મે કે વચને વ્યતિરેકના સંબંધવાળા કોઈ મોટા મુક્તનો અપરાધ-દ્રોહ થઈ ગયો હોય તો તેના પ્રાયશ્ચિત્ત રૂપે એક દંડવત અધિક કરવો. ત્યારબાદ પ્રસાદ ધરાવવો. જો દંડવત કરતી વખતે હાથ નીચે જમીનને સ્પર્શ થયા હોય તો જળ વડે શુદ્ધ કરી નાખવો. પછી જ પ્રસાદ ધરાવવો.

(૧૦) પ્રસાદ

પ્રસાદ સ્ટીલ કે ચાંદીની વાટકીમાં ધરાવવો. પણ પ્રસાદીની ડબ્બીના ઢાંકણામાં ન ધરાવાય. પ્રસાદ માટેની વાટકી પણ સ્વચ્છ રાખવી.

પ્રસાદમાં ખાંડ ન ધરાવાય, મહારાજને ખાંડના બુકડા ન ભરાવાય. પ્રસાદમાં શેકેલી સીંગ, સાકર, કાજુ, બદામ, દ્રાક્ષ વગેરે ધરાવવા. પ્રસાદ ધરાવતી વખતે થાળ પણ બોલાય.

"જમોને જમાડું રે જીવન મારા..."

દયાળુ, અમારા આ બાળભોગનો સ્વીકાર કરો... સ્વીકાર કરો... ત્યારબાદ પ્રસાદી મહારાજની હાજરીમાં જમી ન જવી, પ્રસાદીની વાટકીથી સીધું મોંમાં પ્રસાદ ન નખાય. વળી પૂજા પતી ન જાય ત્યાં સુધી પ્રસાદી જમવી નહીં.

(૧૧) પ્રાર્થના

ત્યારબાદ મહારાજને ખૂબ ગદ્ગદભાવે પ્રાર્થના કરવી, "હે મહારાજ ! અંતરના અને બહારના કુસંગ થકી રક્ષા કરજો, ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરજો, કોઈનોય અજાણે પણ અભાવ-અવગુણ કે દ્રોહ ન થઈ જાય તેનું જાણપણું રખાવજો. આપને રાજી કરવા મંડી પડીએ, અખંડ મૂર્તિ આકારે વર્તાય, સર્વે ક્રિયામાં અખંડ આપનું અનુસંધાન રહ્યા કરે, સર્વે ક્રિયામાં આપ જ કર્તા બનો પણ કયાંય ‘હું’પણું ન આવે અને દિવ્યજીવન જીવી શકીએ એવી આ સેવકની પ્રાર્થનાનો સ્વીકાર કરો.. સ્વીકાર કરો..."

"તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મા…"

પહેલી ને છેલ્લી એ જ અરજ છે, મૂર્તિના સુખની એક ગરજ છે. દયાળુ ! જેવા છીએ તોયે તમારા છીએ. અમને મહાપથારી (છેલ્લા શ્વાસ) સુધી નિભાવશો અને ખૂબ ખૂબ મૂર્તિનું સુખ આપશો.

(૧૨) વિસર્જન

હાથ જોડી પ્રાર્થના કરવી... “દયાળુ ! પૂજામાં આપની સેવામાં કાંઈ ક્ષતિ-ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. ત્યારબાદ વિસર્જન મંત્ર બોલવો.”

સ્વસ્થાનં ગચ્છ દેવેશ પૂજામાદાય મામકીમ્ ।

ઇષ્ટકામ-પ્રસિધ્ધયર્થમ્ પુનરાગમનાય ચ ।।

ત્યારબાદ મૂર્તિઓને ચરણસ્પર્શ કરી ભાવથી ક્રમ પ્રમાણે એકત્રિત કરી લેવી.

(૧૩) વાંચન

શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ શિક્ષાપત્રીના સંસ્કૃત શ્લોકના પ્રત્યક્ષાર્થ સમજાય તે માટે ‘શિક્ષાપત્રી સાર’ વાંચવી, ‘બાપાશ્રીની ટૂંકી વાતો’ ઓછામાં ઓછી પાંચ વાંચવી. તેમજ દિવ્યજીવન જીવવા માટેની અદ્ભુત પુસ્તિકા "હરિને ગમે એવા થવું જ છે." તે પુસ્તિકાની પ્રાર્થના અથવા પાંચ મનનીય વાક્યો વાંચવાં. પછી પૂજાની સમાપ્તિ કરી સંકેલી લેવી. પૂજા થઈ ગયા પછી ઘરમંદિરે પાંચ દંડવત કરવા અને માતાપિતા, વડીલોને ચરણસ્પર્શ કરવા અને નાનાને હાથ જોડી જય સ્વામિનારાયણ કહેવા