જીવન પ્રવાસનો પ્રેરક આધાર સ્તંભ : વાંચન

  August 20, 2012

વિમર્શ ઉભો થા. કેમ આ ખૂણામાં એકલો બેઠો છે ?

હું ટેન્શનમાં છું. મને કંઈ સૂઝતું નથી.

કેમ ?

ખ્યાલ નથી. પણ મૂંઝવણ થાય છે. વિચારોનો વંટોળ મને હડિયે ચઢાવે છે.

એટલે ?

મારો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે. હું કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકું એમ નથી.

તો મને તારી સમસ્યા વિશે જણાવ. હું તને મદદરૂપ થઈ શકું છું કે કેમ ?

મારી સમસ્યા....! મારું જીવન એ જ મારે માટે મોટામાં મોટી સમસ્યા છે. એમાં આપ મને કઈ રીતે મદદરૂપ થશો ?

અરે ! આ સમસ્યાનો સરળ ઉપાય તો તારી પાસે જ છે.

મારી પાસે...! કેવી રીતે ?

વિમર્શ, આ ઉપાય તો તારા હાથમાં જ છે.

મારા હાથમાં ?! એ વળી કેવી રીતે ?

વિમર્શ ! તું ન સમજ્યો ?

અરે ! વાંચન...

વાંચન...

હા, વાંચન તમારી જાતના પ્રશ્નોના નિરાકરણ માટે બહુ જરૂરી છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે, you knock the door and it will be opened. વાંચન માટે આ કહેવત એટલી જ સાચી છે. તમે વાંચનરૂપી દ્વારા ખટખટાવો અને તમારા માટે એ દરવાજા ખોલી નાંખશે. એટલે વાંચન જ જીવન ઘડનારું છે... વાંચન જ મારી સમસ્યાઓનું સમાધાન કરનારું છે... વાંચન જ મને લીડર બનાવારું છે... વાંચન જ મને વિવેકી બનાવનારું છે...

વાંચન જ મારી સમસ્યાનું નિદાન કરનારું છે.

ઓ વિમર્શ, તને તારી ગડમથલનો હવે ઉત્તર મળી ગયો હોય એવું લાગે છે.

હા, મને ઘડનારો, આકાર આપનારો ને વિચારતો કરનાર મહામાર્ગ મળી ગયો છે.

વિમર્શને વાંચનરૂપી મહામાર્ગ મળ્યો છે ત્યારે આ મહામાર્ગની ભૂમિકા ને એની મહત્તા કેવી હોય તે જાણવા, માણવા ને અનુભવવા આપણે આ વિષય પર આગળ વધીશું.

વાંચનવિષયક સંવાદમાં આપણને વાંચનની મહત્તા સ્પષ્ટ થતી સમજાય છે. છતાંય વાંચન જેવી આત્મ-ચિંતનાત્મક પ્રવૃત્તિથી આપણએ સાવ અળગા જ રહીએ છીએ. વાંચનનું મહત્ત્વ સમજાવતાં અમેરિકન ચિંતક માર્ક ટ્રવેઈન કહે છે, "The man who doesn’t read books has no advantage over the man who can not read." જે માણસ પુસ્તકોનું વાંચન કરતો નથી એ, ન વાંચી શખનાર કરતાં કોઈ પણ રીતે ચઢિયાતો ન હોય. વાંચન એ જ આપણને ઉત્તમ બનાવવાનું માધ્યમ છે.

વાંચનની પ્રવૃત્તિ આપણને નવતર સૃષ્ટિમાં રહેતા, રાચતા ને વિરતા કરનારી છે. ઉત્તમ વારસો આપનારી છે. મહાન સિદ્ધિઓ દેનારી છે. રાષ્ટ્ર ને પેઢીઓનું સંચાલન કરનારી છે. અને અંતે આપણે ઓળખાવનારી છ. તેથી જ તો અમેરિકન ચિંતક હેનરી ડેવિડ થોરો આ વાતને સમર્થન આપતાં કહે છે. "વિશ્વની મહાન સમૃદ્ધિઓનો ખજાનો અને રાષ્ટો તેમજ અનેક પેઢીઓનો ઉચ્ચતમ ને શ્રેષ્તમ વારસો એટલે પુસ્તક વાંચન."

વાંચનનું માનવજીવનમાં અતિ મહત્ત્વ છે. વાંચન આપણી ઝંખનાઓને તૃપ્ત કરે છે. વાંચન આપણાં અરમાન ને આશાઓને પૂર્ણ કરે છે. વાંચન એ પરલોક ને આલોકની તરક્કીનાં શિખરો સર કરવા માટે માર્ગદર્શક બની રહે તેવી નિજાનંદી પ્રવૃત્તિ છે.

વાંચન : અનેરું ને અદકેરું જીવન ઘડનારું :

21 મી સદીના આજના આધુનિક સમયમાં વિજ્ઞાન ને ટેક્નોલોજીએ માનવસમાજને મનોરંજન કરાવી શકે એવી ઘણી શોધખોળ કરી છે. આ શોધખોળે માનવને મનોરંજન કરાવવાની નેમ લીધી છે. નેમ મુજબ શોધખોળે માનવને આનંદ આપ્યો છે. છતાંય તે શાશ્વતને બદલે ક્ષણિક આનંદ છે. આ ક્ષણિક આનંદ માનવને યંત્રવત્ બનાવી દીધો છે, પાંગળો બનાવી દીધો છે જેથી તે શાશ્વત આનંદની ભૂમિકાને સમજવા માટે બધિર કાં તો સંવેદનહન બન્યો છે. આ બધિરતા કે સંવેદનહીનતા ટાળવા એને શાશ્વત, જીવનલક્ષી ને વિચારપ્રેરક એવી વાંચનપ્રવૃત્તિનો આશરો લેવો જ રહ્યો. આ આશરે આપણી જીવનશૈલીને નવ્ય આકાર પ્રાપ્ત થાય છે. જહૉન લૅક આ સંદર્ભે એક વિચાર આપતાં જણાવે છે કે, "વાંચન એ તો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે."

વાંચનપ્રવૃત્તિમાં રસ ધરાવવાથી કે કેળવવાથી આપણું ઘડતર થાય છે. આપણો જીવનની ઉત્કૃષ્ટતા તરફનો સાચો અભિગમ સમજાય છે. અંતઃ જીવનને નિરખવાની આપણને નવ્ય દૃષ્ટિ મળે છે. વિવિધ પુસ્તકોના વાંચને જીવનઘડતરની પ્રક્રિયા શરૂ થાય છે. આ જીવનઘડતરની પ્રક્રિયા આપણી સમાજવ્યવસ્થા ને માનવસમાજની દૃષ્ટિએ નવો આયામ પ્રદાન કરે છે. માટે જ તો મિરેકલ ઓફ રાઈટ થોટ્સના સર્જક એરિસન સ્વેટે કહ્યું છે, “વાંચન આપણા વિચારોને, આપણી મનોવૃત્તિઓને, આપણી લાગણીઓને તથા આપણી જાતને ઘડવાનું ઓજાર છે.”

અબ્રાહમ લિંકન અમેરિકાના એક સમયના પ્રમુખ હતા. તેઓ પ્રમુખપદ સુધી કેવી રીતે પહોંચ્યા ? આદર્શ પ્રમુખ તરીકે એમણે કેવી ભૂમિકા ભજવી ? અનેકોના પ્રેરણામૂર્તિ તેઓ કેવી રીતે બન્યા ? આ બધા જ પ્રશ્નોનો એક જ શબ્દમાં ઉત્તર આપવો હોય તો તે છે ‘વાંચન’. વાંચનને લીધે એમના ભાવ વિશ્વનો એટલે કે એમના આંતરજગતનો વિકાસ થઈ શક્યો. તેઓએ વાંચેલ આત્મકથાએ એમને નવ્ય આકાર આપ્યો.

તેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા વર્ગના પરિવારમાં જન્મ્યા હતા. એકનાનકડી લાકડાની કેબિનમાં જન્મ્યા બાદ નવ વર્ષે પોતાની મા ગુમાવી હતી. તેઓ કઠોર પરિશ્રમ કરતા, ખેતર ખેડતા ને જીવનને નિભાવતા હતા. આવી આકરી જીવનશૈલીમાં પણ એકમાત્ર વાંચન કેરા શસ્ત્ર વડે તેઓ આગળ વધતા રહ્યા. ખેતર ખેડતી વેળાએ પેન્ટના ખિસ્સામાં તેઓ પુસ્તક તો અચૂક રાખતા. જ્યારે તેઓને થોડો સમય ફાજલ મળે કે તરત જ વાંચનનો અમૃતરસ પી લેતા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ એક વર્ષ જ શાળાકક્ષાએ ભણી શક્યા હતા. પરંતુ પુસ્તકોનું વાંચન કરી કરી તેઓ પોતાના જીવનને ઘાટ આપતા હતા. વાંચનને પરિણામે તેઓ રાજ્યકક્ષા ને કેન્દ્રકક્ષાની ચૂંટણીમાં નિષ્ફળ જવા છતાંય નવીનતમ ઉત્સાહ સાથે આગળ વધતા જ રહ્યા હતા. આ બધાની પાછળનું એક જ કારણ તેઓએ, એમની આત્મકથા ‘ધ બોય હુ લવ્સ ધ બુક્સ’માં જણાવ્યું છે કે, “વાંચનની પ્રવૃત્તિએ મારા ઘડતર માટે પોતીકી દુનિયા સર્જી આપી છે, જેનો હુ સદય ઋણી રહીશ.” આખરે તેઓએ વાંચનના પ્રતાપે પ્રમુખપદનું સ્થાન બખૂબ મેળવ્યું ને નિભાવ્યું.

વાંચન વિનાનું જીવન અપૂર્ણ છે. અધૂરું છે ને શુષ્ક છે. વાંચનની પ્રક્રિયા આપણને કાયમી સુખ-શાંતિ તરફ લઈ જાય છે ને ભૌતિક્તા દ્વારા મળતાં સુખ-ચેનને નકારી દે છે. આથી માનવજીવન સમૂળગું બદલાઈ જાય છે. આ વાતને સમર્થન આપતો ડો.બેકોર્સનનો પ્રસંગ વધુ પ્રસ્તુત બની રહે એમ છે.

ડૉ.બેકાર્સન કહે છે, “મને અને મારા નાના ભાઈ કાર્ટિસને મારી માતાએ વાંચન પરત્વેની ભૂખ જગાડી. તેઓ ત્રણ જ ચોપડી ભણેલાં હોવા છતાં અમારા બે માટે દર અઠવાડિયે બે પુસ્તકો વાંચવાની વ્યવસ્થા પુસ્તકાલયમાંથી કરાવી આપી.... આજે કાર્ટિસ એન્જિનિયર છે અને હું બાળકોની હોસ્પિટલમાં મગજની શસ્ત્રક્રિયા માટેનો વડો સર્જન છું. ક્યારેક હું મારા જીવનપ્રવાસનો વિચાર કરું છું ત્યારે મને વાંચવાની પ્રેરણા આપનારાં મારાં માતુશ્રીને હૃદયથી વંદન કરી લઉં છું. આજે અઘરી શસ્ત્રક્રિયાઓ શીખવવા અને કરવા માટે દુનિયાભરમાં ફરનાર નિષ્ણાત તરીકેનો મારો પ્રવાસ, ક્યારેક મને માનવામાં ન આવે એવી વાત લાગે છે, પણ આ પ્રવાસ ક્યારે શરૃ થયો તે કહું ? મારી માતાએ ટેલિવિઝન બંધ કરીને મને પુસ્તકાલયમાં લઈ જવા માટે મોટરે બેસાડ્યો ત્યારથી...”