સકામ મટી નિષ્કામ થઈએ : 11

  February 3, 2020

સંપૂર્ણ નિષ્કામ બનવા હવે શું કરવું ?
સંપૂર્ણ અને ખરા નિષ્કામ તો એકમાત્ર અનાદિમુક્તો જ છે. જેમને એક મૂર્તિના સુખ સિવાય બીજી કોઈ આશા-અભરખા કે વાંછનાઓ રહેતી નથી. અવરભાવના લૌકિક સુખ અને ઐશ્વર્યથી તેઓ વિરક્ત વર્તતા હોય છે. આવા ખરા નિષ્કામ બનવું એ જ કારણ સત્સંગનો હાર્દ છે.
જેમ કોઈ દેશ, સંસ્થા, સંપ્રદાય કે કંપનીની રચના થાય ત્યારે તેના હેતુને અનુરૂપ બંધારણ નક્કી થતું હોય છે. પછી એ દેશ, સંસ્થા, સંપ્રદાય કે કંપનીને સંલગ્ન તમામ વ્યક્તિએ એ બંધારણને અનુસરીને જ વર્તવું ફરજિયાત છે. એ બંધારણનો જેટલો ભંગ થાય એટલી પ્રશ્નોની પરંપરા સર્જાય અને દુઃખ આવે.
શ્રીજીમહારાજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાયની સ્થાપના મુમુક્ષુ જીવોને પોતાની સર્વોપરી ઉપાસના સમજાવી અને પોતાની મૂર્તિમાં રાખવાના મૂળભૂત હેતુસર કરી હતી. આ હેતુને પૂર્ણ કરવા જ પોતે દિવ્યાતિદિવ્ય સ્વરૂપ હોવા છતાં અવરભાવમાં મનુષ્યોને મનુષ્ય જેવાં દર્શન આપ્યાં. પોતાના આ મૂળભૂત હેતુને પૂર્ણ કરવા ઓરડાનાં પદમાં ત્યાગી-ગૃહી સમસ્ત સત્સંગી માટે આધ્યાત્મિક બંધારણ રચ્યું અને સૌને કહ્યું, “જેને અમારા ધામની પ્રાપ્તિ કરવી હોય, અમારી પાસે રહેવું હોય કહેતાં અમારી મૂર્તિનું સુખ લેવું હોય તેમણે આ બંધારણ પ્રમાણે ફરજિયાત રહેવું જ પડશે.” આપણે પણ બધેથી પાછા વળી, મુમુક્ષુ થવા અને મૂર્તિસુખની યાત્રામાં આગળ વધવા આ પ્રમાણે વર્તવું જ પડે.
આ બંધારણમાં શ્રીજીમહારાજે ઓરડાના ચોથા પદમાં સૌપ્રથમ મૂર્તિનું સુખ પામવા નિષ્કામભાવે મહારાજને સેવવા એવો આદેશ આપ્યો છે :
                   “સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ.”
મારા ધામમાં જવું હોય કહેતાં મૂર્તિનું સુખ લેવું હોય તો નિષ્કામભાવ કેળવવો એ પાયો છે. તેના માટે શુદ્ધભાવ રાખવો કહેતાં એક મૂર્તિસુખની ઇચ્છા રાખવી પણ માયિક કોઈ સુખની ગોબરી ઇચ્છા ન રાખવી. જો મોક્ષના માર્ગમાં શુદ્ધ નિષ્કામભાવ ન હોય તો કદાચ ગમે તેટલા સ્થિતિના માર્ગે આગળ ચાલ્યા હોય તોય માયિક પદાર્થમાં બંધન થતા વાર ન લાગે.
શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૩૪મા વચનામૃતમાં તેની ગંભીરતા દર્શાવતાં કહ્યું છે કે, “સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનની મૂર્તિ મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય તે સારુ પરમેશ્વરના ભક્તે પરમેશ્વર વિના બીજા કોઈ ઠેકાણે પ્રીતિ રાખવી નહીં.”
સ્થિતિના માર્ગે આગળ વધતા હોય તેવા સિદ્ધ મુક્તને પણ જો માયિક પદાર્થમાં વૃત્તિ તણાઈ જાય તો સાધનકાળમાં રહેલા સાધનિક જે મુમુક્ષુતા કેળવવાના માર્ગે આગળ ચાલ્યા હોય તેનું તો ઠેકાણું જ ક્યાંથી રહે ? માટે આપણે મુમુક્ષુતા કેળવવાના માર્ગે આગળ ચાલ્યા છીએ ત્યારે મહારાજ સિવાય બીજે ક્યાંય પ્રીતિ ન રહે તેની સાવધાની રાખવી.
ઓરડાના પદમાં આગળ શ્રીજીમહારાજ ખરા નિષ્કામ બનવા શું શું કરવું તેની રીત શીખવે છે કે,
“સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ,
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ.”
મારી પાસે એટલે મૂર્તિના સુખમાં રહેવું હોય તો દેહ જે મિથ્યા છે તેના પંચવિષયના ભોગની આશા છોડવી પડશે. મિથ્યા માયિક પંચવિષયની અને મૂર્તિના સુખને પામવાની બેય ઇચ્છા એકસાથે શક્ય જ નથી. એક મ્યાનમાં બે તલવાર ન આવે તેમ બેય સાથે મળે જ નહીં. તેથી જ સદ્‌. નિષ્કુળાનંદ સ્વામીએ ‘ધીરજાખ્યાન’માં કહ્યું છે કે,
             “ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ,
                   બેઉ કામ ન બગાડીએ,  થઈએ ખરા હરિના દાસ.”
(કડવું - ૧૦)
   “જેહને થાવું હોય હરિભક્ત જી, તેહને ન થાવું આ દેહમાં આસક્ત જી,
વળી વિષયસુખથી રહેવું વિરક્ત જી, જેહ સુખ સારુ આ જળે છે જક્ત જી.”                                                                                                                (કડવું - ૫)

માટે જે ઉપાયે કરીને પંચવિષયમાંથી પ્રીતિ તૂટે તે ઉપાય સાવધાન થઈને નિરંતર કરવા તો માયિક સુખની ઇચ્છાઓથી પાછા વળાય અને ભગવાનના સુખને પામવાની તત્પરતા જાગે.