સકામ મટી નિષ્કામ થઈએ : 3

  December 9, 2019

શ્રીજીમહારાજે પોતાના આશ્રિતને પોતાનું કર્તાપણું દૃઢ કરાવવા કેટલા તત્પર છે !
વસોના વાઘજીભાઈ ખૂબ સારા સત્સંગી હતા. તેઓ સમાગમ કરતા અને સેવા પણ કરતા. એક વખત તેઓ બીમાર પડ્યા. મંદવાડ એક વર્ષ સુધી લાંબો ચાલ્યો. શરીરમાં અસહ્ય પીડા થાય, જમાય નહિ, પીવાય નહિ, સરખું બેસાય પણ નહિ તેથી તેઓને સત્સંગમાં ઢીલાશ આવી ગઈ. મનમાં સંકલ્પ થવા માંડ્યા કે સંતોએ વર્તમાન ધરાવ્યા ત્યારે કહ્યું હતું કે, “જા તારું તન, મન, ધન ને અનેક જન્મનાં કર્મ સ્વામિનારાયણને ચરણે. હવે તારું પ્રારબ્ધ સ્વામિનારાયણ ભગવાન થયા.” મારું બધું ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું, એ પ્રારબ્ધ થયા છતાં મને આવું દુઃખ શાથી આવ્યું ? આ મંદવાડ મટશે કે નહીં ? જો મહારાજ ધામમાં લઈ જવાના હોય તો દર્શન કેમ નથી દેતા ? ને શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન હોય તો પ્રારબ્ધે કરીને કેમ આવું દુઃખ આવ્યું હશે ? વાઘજીભાઈએ સત્સંગ કર્યો હતો પરંતુ સમજણની પરિપક્વતા કરવામાં કચાશ હતી. તેથી આવા સંકલ્પો કરતાં પોઢી ગયા.

રાત્રે શ્રીજીમહારાજે વાઘજીભાઈને દર્શન આપ્યાં અને પોતાનું સર્વોપરીપણું સમજાવ્યું અને કહ્યું, “આ તમને પ્રારબ્ધનું દુઃખ નથી, આ તો દેહ રહે ત્યાં સુધી અમારી ઇચ્છાથી નાનું-મોટું દુઃખ કસર ટાળવા આવે. અમે પ્રારબ્ધ થયા તોય મૂર્તિસુખના પાત્ર થવા દેહનાં નાનાં-મોટાં દુઃખ ભોગવવાં તો પડે પરંતુ અંતે કોઈ કર્મ નહિ રહેવા દઈએ ને અમારા ધામમાં લઈ જઈશું. આ તો અમે શૂળીનું દુઃખ કાંટે સાર્યું છે માટે જાવ, આજથી તમારું દુઃખ ગયું. કાલે સવારથી સાજા થઈ જશો.” આવી રીતે સમજણની દૃઢતા કરાવી શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા.

વાઘજીભાઈની જેમ સમજણની અપરિપક્વતાને કારણે આપણને પણ ક્યારેક આવી રીતે સત્સંગમાં ઢીલાશ આવી જતી હોય છે. સત્સંગની દૃઢતા ડગી જતી હોય છે. સત્સંગ શાના માટે કરીએ છીએ તે ભૂલી જતા હોઈએ છીએ. તેથી જ સદ્‌. નિષ્કુળાનંદ સ્વામીએ ‘ભક્તિનિધિ’ના કડવા-૯માં કહ્યું છે કે,

“સકામ ભક્તિ સહુ કરે છે, નથી કરતા નિષ્કામ કોય;
તેમાં નવનીત નથી નીસરતું, નિત્ય વલોવતાં તોય (જળ).”
આજે ખૂબ વરસાદ આવ્યો તોય મારો દીકરો કેમ નાપાસ થયો ?
મંદિરમાં ધામધૂમથી સમૈયો થયો છતાં શૅરના ભાવ કેમ ઘટ્યા ?
ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું છતાં કેમ ગરમી પડે છે ?

ઉપરોક્ત વાક્યો વાંચતાં જે તે પરિસ્થિતિ માટે તેનું કારણ શું ખરેખર જવાબદાર છે ? એકબીજા વચ્ચેનો સંબંધ કેટલો સ્પર્શે છે ? બિલકુલ નહીં. એકબીજા સાથે તેને કોઈ લેવા-દેવા નથી. આવું જ કંઈ સમજણના અભાવે આપણે સત્સંગમાં કરતા હોઈએ છીએ.

મેં આટલી ભજન-ભક્તિ કરી તોય મને કેમ દેહનું દુઃખ આવ્યું ?
મેં આટલાં દાન કર્યાં, સેવા કરી તોય મારે કેમ દીકરો નહીં ?
મેં આટલાં જપ-તપ કર્યાં, ઉપવાસ કર્યા તોય હું કેમ ગરીબ રહ્યો ?
મેં ૧૦૦ અભિષેક કર્યા તોય કેમ ચૂંટણીમાં જીત્યો નહીં ?
હું રોજ સભામાં જઉં છું તોય કેમ ધંધામાં નુકસાન આવ્યું ? પરીક્ષામાં કેમ નાપાસ થયો ?

આગળ જોયેલાં વાક્યોમાં જેમ બંને વાક્યને એકબીજા સાથે કોઈ સંબંધ નથી તેમ આ વાક્યોમાં પણ બેય પરિસ્થિતિને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. કારણ, ભજન-ભક્તિ, દાન, સેવા, તપ, જપ, માળા કે સભામાં જવું આ બધું માયિક સુખથી પાછા વળી આત્મિક સુખ પામવા માટે છે. શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે, “ધર્મ, અર્થ ને કામસંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કૈવલ્ય મોક્ષને અર્થે થાય છે.”

જેમ વરસાદને રિઝલ્ટ સાથે કોઈ લેવા-દેવા નથી તેમ સત્સંગને અને દૈહિક સુખને કોઈ લેવા-દેવા નથી. તેમ છતાં આપણે સત્સંગના બદલામાં દૈહિક-માયિક સુખની, પદાર્થની કે વ્યક્તિની ઇચ્છા રાખીએ છીએ તે શું સાચી છે ? વાસ્તવિક છે ? ના, હરગિજ નહીં. માટે સત્સંગમાં આવ્યા પછી હું સત્સંગ શા માટે કરું છું ? તો બધેથી પાછા વળી મૂર્તિના સુખને પામવા માટે જ કરું છું.

સકામ મટી નિષ્કામ બનવા પ્રથમ આવી સમજણની દૃઢતા કરીએ.