શ્રીજીમહારાજના પ્રિ-પ્લાનિંગનું પાત્ર - એડન સાહેબ

  December 20, 2012

સંવત ૧૮૭૬ની આ વાત છે. શ્રીજીમહારાજ એક વખત અમદાવાદમાં પધારેલા. અમદાવાદમાં ખોખરા વિસ્તારના મહેમદાવાદ મુકામે  હીરાચંદ ચોકસીના બંગલે શ્રીજીમહારાજનો ઉતારો હતો. એક દિવસ વહેલી સવારે ૬ઃ૦૦ વાગે મહારાજે ચિત્રકાર એવા અખંડાનંદ  સ્વામીને બોલાવીને કહ્યું, "સ્વામી, અમે કહીએ એ પ્રમાણે એક ચિત્ર બનાવો. એક મોટું જંગલ બનાવો. આ જંગલમાં એક હાથી છે અને આ હાથીની અંબાડી ઉપર ટોપીવાળા અંગ્રેજ અમલદાર બેઠા છે.  સામેથી સિંહ તરાપ મારે છે અને એ જ ક્ષણે અચાનક કોઈ દૈવી શક્તિ એમને ખેંચી લે છે. જેથી સાહેબ આબાદ રીતે બચી જાય છે. બીજી બીજુ આ દૈવી શક્તિ ત્યાંથી અંગ્રેજ અમલદારને એમના બંગલામાં મૂકી દે છે. આવું એક ચિત્ર તૈયાર કરો."

અમદાવાદમાં એ વખતે ગવર્નર તરીકે એડન સાહેબ હતા. એમની ઓફિસ ભદ્રના કિલ્લામાં હતી. શ્રીજીમહારાજ તો સ્વામીને લઈ ચિત્ર સાથે ભદ્રના કિલ્લામાં જાય છે. એડન સાહેબ તો ખૂબ સંસ્કારી હતા. વળી, એમને સત્તાનું કે સંપત્તિનું કોઈ પ્રકારનું માન ન હતું. તેઓ ભગવાન સ્વામિનારાયણને ઓળખતા હતા. તેમને મહાપ્રભુ પ્રત્યે ખૂબ ભાવ હતો. તેથી તેમણે ભાવવિભોર થઈ સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કર્યું.

મહારાજ એડન સાહેબને કહે, "અમારે તમને કંઈક ભેટ આપવી છે." આમ કહી બાજુમાં ટેબલ પર આ ચિત્ર પાથરી દીધું. આ ચિત્ર જોઈ એડન સાહેબ આશ્ચર્ય સાથે બોલ્યા, "આ તો મારું ચિત્ર છે. તમારી પાસે ક્યાંથી આવ્યું ?" ત્યારે મહારાજ બોલ્યા, "બાર વર્ષ પહલાંની વાત છે. આફ્રિકાના નાઈરોબિયન વિસ્તારમાં તમારું હેડ ક્વાર્ટર હતું. તમે એક દિવસ તમારા સિપાઈઓ સાથે આફ્રિકાના જંગલમાં શિકાર માટે ગયા હતા. ત્યાં કોઈ કારણોસર તમે એકલા પડી ગયા અને અચાનક સામેથી સિંહે તમારી સામે તરાપ મારી. તમે ગભરાઈ ગયા ત્યાં જ કોઈ દૈવી શક્તિએ આવી તમને ત્યાંથી ઉપાડી તમારા બંગલામાં મૂકી દીધા. આ વાત સાચી છે ?" એડન સાહેબ કહે, "હા, એકદમ સાચી વાત છે. હું ૧૨ વર્ષથી એના વિચારમાં છું કે આ દૈવી શક્તિ કોણ છે ?" ત્યારે મહારાજ બોલ્યા, "આ દૈવી શક્તિ બીજું કોઈ નહિ પણ અમે જ હતા."

એડન સાહેબ તો ખૂબ પ્રભાવિત થઈ ગયા અને મહારાજને કહે, "ઓહો... તમે મને નવું જીવનદાન આપ્યું. હું તમારી શું સેવા કરી શકું?" મહારાજ કહે, "અમારે અમદાવાદમાં મંદિર બનાવવા જમીન જોઈએ છે." એડન સાહેબ અમદાવાદનો નકશો મંગાવી પૂછે છે, "તમારે કેટલી અને ક્યાં જમીન જોઈએ છે ?" મહારાજ કહે, "અમે અમારી ઘોડી ફેરવીએ એટલી જમીન આપો." ત્યારે એડન સાહેબ કહે, "સારું... ૯૯ વર્ષના ભાડા પેટે તમને આ જમીન આપી." મહારાજ કહે, "અમારે તો એથી વધારે વર્ષ માટે જોઈએ છે." એડન સાહેબ કહે, "તો ૧૯૯ વર્ષના ભાડા પેટે જમીન આપી." મહારાજ કહે, "અમારે તો યાવદ્ચંદ્રદિવાકરૌ, સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી જમીન જોઈએ."

એડન સાહેબ કહે, "૨૦૦ વર્ષ ઉપરની પરમિશન લેવા માટે અમારે ઉપલા લેવલે રાણી વિક્ટોરિયાને પૂછવું પડે." એમ કહી એડન સાહેબ સ્વામિનારાયણ ભગવાનના પક્ષમાં રહી રાણી વિક્ટોરિયાને પત્ર લખી આ જમીન યાવદ્ચંદ્રદિવાકરૌ મંદિર માટે અર્પણ કરવાની મંજૂરી મેળવી આપી અને પછી મહારાજે આ જમીન પર ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. આ હતું મહારાજનું પ્રિ-પ્લાનિંગ. આમ, સ્વામિનારાયણ સંપ્રદાયના સૌપ્રથમ મંદિરની રચના શ્રીજીમહારાજના આ પ્રિ-પ્લાનિંગથી થયેલી.

આ રીતે શ્રીજીમહારાજે ભરતખંડમાં પધારી અનેક મુમુક્ષુજનોને સુખિયા કર્યાં. પ્રેમીભક્તોના મનોરથો પૂર્ણ કર્યા; તો વળી દર્શન, સ્પર્શ, સેવા, સમાગમે કરી અભયદાન આપ્યાં. શ્રીજીમહારાજની આ કૃપાવર્ષામાં અંગ્રેજોને પણ ભીંજાવાનો દિવ્ય અવસર સાંપડ્યો. અને સાકરનો ગાંગડો તો જે ખાય, જયારે ખાય ત્યારે ગળ્યો જ લાગવાનો ને...!

મહાપ્રભુએ પોતાની સર્વોપરી ઉપાસનાના પ્રવર્તન માટે મંદિરોની સંકલ્પના કરેલી તે પૈકી તેનો મંગલ પ્રારંભ અમદાવાદના મંદિરથી કર્યો અને એ રીતે પ્રેમીભક્તોને લાડ લડાવ્યા મનોરથો પૂરા કર્યા. અને તેમણે કોઈ શરણે આવ્યા, દર્શન-સ્પર્શ સમાગમમાં લાવ્યા તે સૌને અભયદાન આપ્યા. તે માટે તેમણે જાત-કુજાત કાંઈ પણ જોયું નહિ. સદ્.નિષ્કુળાનંદસ્વામીએ કીર્તનમાં કહ્યું. “ન જોઈ જાત કુજાત – પુરુષોત્તમ પ્રગટી રે” તેમના દિવ્ય કૃપાદૃષ્ટિમાં જે જે આવ્યા તેનું આત્યંતિક કલ્યાણ કર્યું. જેથી સાકરનો ગાંગડો જે માય જ્યારે પાય તે સદાય ગળ્યો જ લાગવાનો.